Gujarat Politics: ગુજરાતના રાજકારણમાં સનસનાટી મચાવી દેનાર મંત્રીમંડળના વિસ્તરણ બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મંત્રીપદ ગુમાવનારા નેતાઓ અંગે આડકતરી રીતે નિવેદન આપ્યું છે. કડી ખાતે ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં કાર્યકરો, ધારાસભ્યો અને પદાધિકારીઓને સંબોધતા તેમણે કોઈનું નામ લીધા વિના, તાજેતરમાં પડતા મુકાયેલા 10 મંત્રીઓના પદ ગુમાવવા પાછળના કારણો પર પ્રકાશ પાડ્યો હતો.
ખોટી ટોળકીથી દૂર રહેવાની સલાહ
નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, હમણાં બે-ચાર મંત્રીઓને રાજીનામાં આપવા પડ્યા, મંત્રીમંડળમાંથી પડતા મુકાયા. તેઓ કેમ ન રહ્યા? એમણે ખોટું કર્યું હોય કે ન કર્યું હોય તે મને કંઈ ખબર નથી. તમે સારા હોય પણ તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો બદનામ કરે. આ ટોળકી કે પરિવારમાં બે-પાંચ જણાએ ખોટું કર્યું હોય તો પણ મંત્રીપદ જાય છે.
આ નિવેદન દ્વારા તેમણે સ્પષ્ટપણે ભ્રષ્ટાચારના આરોપસર મંત્રીપદ ગુમાવનાર નેતાઓ, જેમ કે મનરેગા કૌભાંડમાં ફરજંદો સામે ફરિયાદથી વિવાદમાં રહેલા પંચાયત મંત્રી બચુ ખાબડ અને બીઝેડ ફાઈનાન્સ કૌભાંડ ફેઈમ પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર સહિતના 10 મંત્રીઓના સંદર્ભમાં, નવી પેઢીના નેતાઓને આજુબાજુના લોકોના ખોટા કામોથી દૂર રહેવાની આડકતરી ચેતવણી આપી હતી.
હોદ્દા માટે સાત ગરણીએ ગળાવું પડે
ભાજપ સંગઠનમાં નવી નિયુક્તિઓની પ્રક્રિયા ચાલી રહી છે તેવા સમયે નીતિન પટેલે હોદ્દા મેળવવા માટેની પદ્ધતિ પર પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, ભાજપમાં કોઈને પણ કંઈ એમ જ મળી જતું નથી, સાત ગરણીએ ગળાય છે અને પછી મળે છે. કોઈની પાછળ પાછળ ફરવાથી મોટા નહીં થવાય, ખરેખર તો નેતાઓને કાર્યકરો અને મતદારોની ગરજ હોવી જોઈએ.
SIRથી સ્થાનિક ચૂંટણીમાં કાઠું પડશે
મતદાર યાદીને ચોખ્ખી કરવા માટે ચાલી રહેલા સ્પેસિફિક ઈન્ફોર્મેશન રજીસ્ટ્રેશન (SIR) અભિયાનને લઈને તેમણે કહ્યું કે, આના કારણે સ્થાનિક ચૂંટણીમાં કાર્યકરોને કાઠું પડશે, જે સંકેત આપે છે કે હવે ચૂંટણી જીતવી એટલી સરળ નહીં રહે.
