Mehsana News: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બેચરાજી ખાતે આયોજિત મહેસાણા જિલ્લા ભાજપાના પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે તેઓએ ભાજપા આગેવાન તથા કાર્યકર્તાઓને માર્ગદર્શિત કર્યા હતાં.
ભુપેન્દ્ર પટેલે સમર્પિત અને સંસ્કારિત કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીનો આધાર ગણાવ્યો હતો અને જણાવ્યું હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં ભાજપાએ પ્રાપ્ત કરેલા દેશવ્યાપી જનવિશ્વાસની પાછળ લાખો કાર્યકર્તાઓનો પરિશ્રમ, શિસ્ત, સમર્પણ અને સેવાભાવ રહેલો છે. જનસંઘના સમયથી જ કાર્યકર્તાઓના ઘડતર અને પ્રશિક્ષણને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. સંગઠનનો અર્થ માત્ર લોકોનું એકઠું થવું નથી, પરંતુ તે એક વિચાર, એક ધ્યેય અને એક દિશા સાથે પરસ્પર સહયોગથી આગળ વધવાની શક્તિ છે.
તેમણે કહ્યું કે, પ્રશિક્ષણ દ્વારા કાર્યકર્તા નિર્માણ એ સંગઠન મજબૂત કરવાનું સૌથી મહત્વપૂર્ણ સાધન છે. પ્રશિક્ષણ વર્ગો કાર્યકર્તાઓને વિચારની સ્પષ્ટતા સાથે સમાજજીવનમાં બદલાતા પ્રવાહોને સમજવા અને વધુ અસરકારક રીતે લોકસેવા કરવા માટે તૈયાર કરવાનું માધ્યમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાસન, જનભાગીદારી અને સેચ્યુરેશનના અભિગમ દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસના લાભ પહોંચાડવાનો માર્ગ બતાવ્યો છે. આજે યુવા કાર્યકર્તાઓની ઊર્જા, વરિષ્ઠ આગેવાનોના અનુભવ અને નવી ટેકનોલોજીના સમન્વયથી ભાજપા સંગઠનને વધુ સશક્ત બન્યું છે.
