હકાભા ગઢવીનો વિરોધીઓને જડબાતોડ જવાબ: "શું કલાકાર તમારો કૂતરો છે કે તમે કહો ત્યાં ભસવા માંડે?"

મહાશિવરાત્રીના મેળામાં ભજન કાર્યક્રમના મંચ પરથી હકાભા ગઢવીએ કલાકારો અંગે થયેલી ટિપ્પણીનો જવાબ આપ્યો...

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 16 Feb 2026 12:27 PM (IST)Updated: Mon, 16 Feb 2026 12:27 PM (IST)
hakabha-gadhvi-responded-to-leaders-comments-from-bhajan-program-stage
HIGHLIGHTS
  • હકાભા ગઢવીએ કલાકારો અંગેની ટિપ્પણીનો જવાબ આપ્યો
  • મહાશિવરાત્રીના મેળામાં ભજન કાર્યક્રમના મંચ પરથી બોલ્યા
  • હકાભાએ કહ્યું, "શું કલાકાર તમારો કૂતરો છે કે ભસવા માંડે?"

Hakabha Gadhvi Statement: ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં આયોજીત એક કાર્યક્રમના મંચ પરથી મોટું નિવેદન આપ્યું છે. ખાસ કરીને લાલજી દેસાઈના નિવેદન સંદર્ભે હકાભા ગઢવીએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

જાહેર મંચ પરથી બોલ્યા હકાભા ગઢવી

જૂનાગઢમાં યોજાયેલ મહાશિવરાત્રીના મેળામાં જાણીતા લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ જાહેર મંચ પરથી વિરોધીઓ અને નેતાઓને આકરો જવાબ આપ્યો છે. તાજેતરમાં કલાકારો અને નેતાઓ વચ્ચે થયેલા વિવાદ અને ખાસ કરીને લાલજી દેસાઈના નિવેદન સંદર્ભે હકાભા ગઢવીએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

"કલાકાર તમારો કૂતરો છે કે તમે કહો ત્યાં ભસવા માંડે?"

હકાભા ગઢવીએ મંચ પરથી રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, કલાકારોને સતત પૂછવામાં આવે છે કે જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે તેઓ કેમ ચૂપ રહે છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, "લોકો પૂછે છે કે અદાણીએ ખેડૂતોની જમીન લઈ લીધી તો કેમ કલાકાર નથી બોલતા? શું અમે ત્યાં દસ્તાવેજ કર્યા છે?" હકાભાએ કડક શબ્દોમાં ઉમેર્યું કે, "કલાકાર શું તમારો કૂતરો છે? કે તમે કહો ત્યાં ભસવા માંડે".

બે સમાજના ઝઘડામાં કલાકારની ભૂમિકા

જ્યારે બે સમાજ વચ્ચે ઘર્ષણ થાય છે ત્યારે કલાકારોના મૌન વિશે ઉઠતા સવાલોના જવાબમાં હકાભા ગઢવીએ કહ્યું કે, અમારે કોની સાથે દુશ્મની કરવી? બેમાંથી એક પક્ષે બોલીએ તો દુશ્મની કરવી પડે. તેમણે કહ્યું કે સત્ય બોલવું છે પણ ક્યાં બોલવું? જો સત્ય બોલીએ તો સમાજ મારવા ફરે છે.

"કલાકાર સંસ્કૃતિનો રક્ષક છે"

હકાભા ગઢવીએ ભારપૂર્વક કહ્યું કે, કલાકાર આ દુનિયાને કંઈક આપવા અને સંસ્કૃતિને સાચવવા માટે આવ્યો છે. તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે જો સ્ટેજ પર કલાકાર નહીં હોય તો આવનારા દિવસોમાં સંસ્કૃતિનો નાશ થઈ જશે. તેમણે પ્રશ્ન કર્યો કે રામ, કૃષ્ણ, મહારાણા પ્રતાપ અને શિવાજીને સ્ટેજ પરથી કોણ યાદ કરશે?.

અંતમાં, હકાભા ગઢવીએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, કલાકારની વાણી સ્વતંત્ર છે અને તે કોઈનું ખરાબ બોલવા નથી આવ્યા, માત્ર સારું બોલવા આવ્યા છે. જે સમાજ તેમનો વિરોધ કરે છે, તે જ સમાજમાં ફરી અવતાર લઈ તેમનું ભલું કરવાની ઈચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી.