Junagadh: ગિરનાર રોપ-વે સતત ત્રીજા દિવસે બંધ, પ્રવાસીઓને સુરક્ષાને ધ્યાને રાખીને લેવાયો નિર્ણય

ગિરનાર પર્વત પર 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ-વે સતત ત્રીજા દિવસે બંધ રહ્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 30 Aug 2026 09:32 AM (IST)Updated: Sun, 30 Aug 2026 09:32 AM (IST)
girnar-ropeway-closed-third-day-85-kmph-wind-junagadh-rain

Girnar Ropeway Closed: જુનાગઢમા ગિરનાર પર્વત પર છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગુરનાર પર્વત પર પ્રતિકૂળ અને ખરાબ વાતાવરણને લીધે પ્રવાસીઓની સુરક્ષાને ધ્ચાનમાં રાખીને રોપ-વે સેવા સતત ત્રીજા દિવસે અટકાવી દેવામાં આવી છે. ગુરુવાર અને શુક્રવાર બાદ શનિવારે પણ સવારથી જ ગિરનાર પર્વત પર પ્રતિકલાક 85 કિલોમીટરની અતિ તીવ્ર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. જેના લીધે રોપ-વે સંચાલન સંપૂર્ણપણે બંધ રાખવું પડ્યું હતું.

જુનાગઢમાં ઠંડકનો માહોલ

જુનાગઢ શહેરમાં વહેલી સવારે ભઆરે વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ હતી. દિવસ દરમિયાન શહેર અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહ્યું હતું. ચોમાસાની ઋતુ હવે તેના અંતિમ તબક્કામાં છે અને સાડા ત્રણ મહિના વીતી ગયા છે. વર્ષાઋતુની સત્તાવાર વિદાયને હવે 15 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાના જણાવ્યા પ્રમાણે, વર્તમાન સમયમાં વરસાદ લાવે તેવી કોઈ પણ સિસ્ટમ ઉપલબ્ધ નથી. આથી આગામી એક અઠવાડિયા દરમિયાન ભારે કે મધ્યમ વરસાદની કોઈ શક્યતા નથી. જુનાગઢ શહેરમાં શનિવારના રોજ સવારથી ધૂંધળું વાતાવરણ રહ્યું હતુ.

સવારમાં હવામાં ભેજનું પ્રમાણ 80 ટકા અને બપોરે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 64 ટકા રહ્યું હતું. અને સવારે લઘુત્તમ તાપમાન 25.6 ડીગ્રી અને બરપોરે મહત્તમ તાપમાન 31.6 ડિગ્રી રહ્યું હતું.