Girnar lili Parikrama 2025: વર્ષ 2025માં લીલી પરિક્રમા ક્યારે છે? જાણો રૂટ અને પડાવ સહિતની માહિતી

લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસના દિવસથી શરૂ થાય છે અને પુનમના દિવસે પૂર્ણ થાય છે. વર્ષ 2025માં લીલી પરિક્રમા 2 નવેમ્બરના રોજ શરૂ થશે. કારતક સુદ પુનમ 5 નવેમ્બરના રોજ છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 18 Sep 2025 05:50 PM (IST)Updated: Thu, 18 Sep 2025 05:50 PM (IST)
girnar-lili-parikrama-2025-date-route-and-camp-details

Girnar lili Parikrama: ટૂંક સમયમાંજ દિવાળીના તહેવારો શરૂ થશે. દિવાળી અને નવા વર્ષ પછી જૂનાગઢની પ્રસિદ્ધ લીલી પરિક્રમા શરૂ થાય છે. આજે અહીં આપણે જોઈશું કે વર્ષ 2025માં લીલી પરિક્રમા ક્યારે શરૂ થશે? લીલી પરિક્રમા કેટલા કિલોમીટરની હોય છે? લીલી પરિક્રમામાં કુલ કેટલા પડાવ હોય છે?

વર્ષ 2025માં લીલી પરિક્રમા ક્યારે છે?

લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસના દિવસથી શરૂ થાય છે અને પુનમના દિવસે પૂર્ણ થાય છે. વર્ષ 2025માં લીલી પરિક્રમા 2 નવેમ્બરના રોજ શરૂ થશે. કારતક સુદ પુનમ 5 નવેમ્બરના રોજ છે. સામાન્ય રીતે લીલી પરિક્રમા નિર્ધારિત સમય કરતા એક બે દિવસ વહેલા શરૂ થઈ જાય છે.

પરિક્રમાનું ધાર્મિક મહત્વ અને આયોજન

ગિરનારની લીલી પરિક્રમા માત્ર એક પદયાત્રા નથી, પરંતુ તે 33 કરોડ દેવતાઓના તપનું પુણ્ય આપતી એક આસ્થાની યાત્રા છે. આ યાત્રામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. વન વિભાગ, વહીવટી તંત્ર અને સાધુ-સંતોના સહયોગથી આ ભવ્ય આયોજન થાય છે, જેમાં યાત્રાળુઓ માટે ભોજન, પાણી અને તબીબી સેવાઓ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

પરિક્રમાનો 36 કિલોમીટરનો રૂટ અને તેના મુખ્ય પડાવો

આ પરિક્રમા ભવનાથ તળેટીના દુધેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થાય છે અને ગિરનારના ગાઢ જંગલોમાંથી પસાર થતો 36 કિલોમીટરનો પથ કાપે છે. આ રૂટ પર કુદરતી સૌંદર્યની સાથે સાથે અનેક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો આવેલા છે. પરિક્રમાર્થીઓને રાત્રિરોકાણ અને ભોજન માટે ઠેર ઠેર અન્નક્ષેત્રો અને આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે.

  • પહેલો પડાવ: ભવનાથ તળેટીથી 12 કિલોમીટર દૂર આવેલી ઝીણાબાવાની મઢી.
  • બીજો પડાવ: ઝીણાબાવાની મઢીથી 8 કિલોમીટરના અંતરે આવેલું માળવેલા.
  • ત્રીજો પડાવ: માળવેલાથી 8 કિલોમીટર દૂર બોરદેવી મંદિર.
  • અંતિમ પડાવ: બોરદેવી મંદિરથી ભવનાથ તળેટી સુધીનો 8 કિલોમીટરનો રસ્તો.

પર્વતની ત્રણ 'ઘોડીઓ': પરિક્રમાનો સૌથી પડકારજનક ભાગ

પરિક્રમાના રૂટ પર ત્રણ 'ઘોડીઓ' આવે છે, જે ચઢાણ અને ઉતરાણના કારણે ઓળખાય છે.

  • ઇંટવા ઘોડી: ભવનાથથી ઝીણાબાવાની મઢી વચ્ચે આવેલી આ ઘોડી પ્રમાણમાં સરળ છે.
  • માળવેલા ઘોડી: આ ઘોડી ઇંટવા ઘોડી કરતાં વધુ આકરી અને પથરાળ છે.
  • નાળ-પાણીની ઘોડી: માળવેલા અને બોરદેવી વચ્ચે આવતી આ ઘોડીને પરિક્રમાની સૌથી આકરી ઘોડી માનવામાં આવે છે.

પરિક્રમા દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  • સામાન: પરિક્રમા દરમિયાન બને તેટલો ઓછો સામાન સાથે રાખો. બિનજરૂરી અને ભારે વસ્તુઓ મુશ્કેલી ઊભી કરી શકે છે. જો તમારી પાસે વધુ સામાન હોય, તો ભવનાથ તળેટીની નજીક આવેલી હોટેલ અથવા ધર્મશાળામાં નજીવા ચાર્જ ચૂકવીને સાચવવા આપી શકાય છે.
  • કિંમતી વસ્તુઓ: પરિક્રમાના રૂટ પર કિંમતી ચીજવસ્તુઓ કે ઘરેણાં સાથે ન રાખવા.
  • ભોજન અને પાણી: પરિક્રમા રૂટ પર ભોજન માટે અન્નક્ષેત્રોની વ્યવસ્થા હોય છે, તેથી તેની ચિંતા કરવાની જરૂર નથી. જોકે, પાણીની ભરેલી બોટલ સાથે રાખવી હિતાવહ છે, કારણ કે પાણીની વ્યવસ્થાના સ્થળો થોડા અંતરે આવેલા હોય છે.
  • માર્ગદર્શન: પરિક્રમાનો રૂટ ગાઢ જંગલમાંથી પસાર થાય છે, તેથી ક્યારેય એકલા ન ચાલો. હંમેશા નક્કી કરેલા માર્ગ પર જ રહો અને ટ્રેકથી ભટકી ન જવું, કારણ કે જંગલમાં જંગલી પ્રાણીઓ વસે છે.
  • વધારાની સાવધાની: જંગલનું ચઢાણ કપરું હોવાથી ચાલતી વખતે સપોર્ટ માટે એક મજબૂત લાકડી સાથે રાખવી.
  • પ્રાણીઓથી સાવચેત રહો: જો રૂટ પર કોઈ પ્રાણી દેખાય તો તેને ખલેલ પહોંચાડવી કે ઉશ્કેરવું નહીં. તેમને સલામત અંતરથી પસાર થવા દેવા.
  • દવાઓ: જો તમે કોઈ બીમારીથી પીડિત હો તો જરૂરી દવાઓ સાથે રાખવી.
  • કપડાં: જો રાત્રિરોકાણ કરવાનો પ્લાન હોય, તો એક જોડી વધારાના કપડાં સાથે રાખવા જરૂરી છે, કારણ કે ઝાડી-ઝાંખરામાં કપડાં ફાટી જવાનો ભય રહે છે.
  • ટોર્ચ: રાત્રિ દરમિયાન મુસાફરી કરવા માટે ટોર્ચ સાથે રાખવી, પરંતુ જરૂર વગર તેનો ઉપયોગ ટાળવો.