Bhavnath Fair 2026: મહાશિવરાત્રીના મેળામાં ભક્તિ અને ટેક્નોલૉજીનો અદ્દભૂત સંગમ, ભવનાથ મંદિર ખાતે પ્રથમવાર ભવ્ય લેસર શૉ યોજાયો

'જય ગિરનારી', 'ૐ નમઃ શિવાય', 'ૐ', ત્રિશૂળ ડમરૂ શંખ વગેરે પ્રતિકૃતિઓ ટેકનોલોજીના માધ્યમથી થતી તાદ્રશ્ય, શ્રદ્ધાળુઓ ભવ્ય નજારો નિહાળી મંત્રમુગ્ધ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 13 Feb 2026 08:09 PM (IST)Updated: Fri, 13 Feb 2026 08:09 PM (IST)
bhavnath-mahadev-temple-laser-show-creates-spiritual-tech-fusion-at-maha-shivratri-fair
HIGHLIGHTS
  • પ્રકાશની ગતિશીલતા સાથેની તાંડવ નૃત્ય કરતા શિવજીની પ્રતિકૃતિઓ શ્રદ્ધાળુઓના હૈયે અનેરો ભક્તિભાવ પ્રગટાવે છે

Junagadh: ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ રૂપ મહાશિવરાત્રીના મેળામાં ટેકનોલોજીનો પણ નવો આયામ જોવા મળી રહ્યો છે, મહાશિવરાત્રીના મેળામાં ભવનાથ મંદિર ખાતે પ્રથમ વખત ભક્તિ અને ટેકનોલોજીના સંગમરૂપ લેસર શોએ શ્રદ્ધાળુઓમાં અદકેરૂ આકર્ષણ જમાવ્યું છે.

મહાશિવરાત્રીના મેળા દરમિયાન લાખો ભાવિકો ભગવાન ભવનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન કરે છે, પરંતુ આ વર્ષે રાજ્ય સરકારના પ્રયાસોથી મહાશિવરાત્રીના મેળાની ભવ્યતા અને દિવ્યતા વધી છે, તેમાં ભાવિકોલક્ષી નવા આયામો ઉમેરાયા છે, જે શ્રદ્ધાળુઓને ભક્તિમય નવી અનુભૂતિ કરાવે છે.

ભવનાથ મંદિર ખાતે લેસર શો દ્વારા આધ્યાત્મિકતાને ઉજાગર કરતા ભવ્ય અને રંગબેરંગી 'જય ગિરનારી', 'ૐ નમઃ શિવાય', 'ૐ' ઉપરાંત તાંડવ નૃત્ય કરતા ભગવાન શિવજી, ત્રિશૂળ, ડમરૂ, શંખ વગેરેની પ્રકાશની ગતિશીલતા સાથેની પ્રતિકૃતિઓ શ્રદ્ધાળુઓના હૈયે અનેરો ભક્તિભાવ પ્રગટાવે છે.

naidunia_image

આ લેસર શોની એવી રીતે ગોઠવણ થઈ છે કે, ભવનાથ મંદિરની પાછળ જુના અખાડાનું જે શિવલિંગના આકાર સાથે ભવન બનેલું છે, તેના પર આ લેસર શો દ્રષ્ટિગોચર થાય છે. જે ભવનાથ મંદિરને વધુ દિવ્યતા પણ બક્ષે છે.

naidunia_image

આ સંદર્ભમાં પ્રાંત અને મેળા અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું કે, ભવનાથ મહાદેવના મંદિરમાં અનેક નવા આયામો ઉમેરવામાં આવ્યા છે, જે ભાવિકોમાં ભક્તિભાવ સાથે આકર્ષણ પણ જન્માવે છે, જેમાં મહાશિવરાત્રીના મેળામાં પ્રથમવાર લેસર શોનું આયોજન થયું છે, જે નિહાળી ભવનાથ મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુઓ એક અનોખો અનુભવ લઈને જાય છે.

ટેકનોલોજીના માધ્યમથી થતા આ લેસરમાં Gobo - Go Between Optics લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના થકી શિવજીના જુદા જુદા રૂપો, ત્રિશૂળ સહિતની પ્રતિકૃતિઓ દર્શાવવામાં આવી રહી છે.

naidunia_image

તેમણે એમ પણ કહ્યું કે, ભવનાથ મંદિર પર ૫૫ કિલોનો ધ્વજદંડ સ્થાપિત કરવામાં આવ્યો છે ઉપરાંત મંદિર પરિસરમાં ભગવાન મહાદેવ રવેડીમાં આવતા હોય તેવું એક એક કાલ્પનિક પેઇન્ટિંગ પણ તૈયાર કરવામાં આવ્યું છે જે પણ ભાવિકોને ખૂબ પસંદ પડ્યું છે.