Jamnagar News: પાટીદાર સમાજના યુવાનો પરના કેસ પરત ખેંચી લેવામાં આવ્યા બાદ ઉજવણીના ભાગરૂપે જામનગરના ધ્રોલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા ઉપસ્થિત રહ્યાં હતા.જ્યાં તેમણે સમાજના અગ્રણીઓની હાજરીમાં સમાજને કડવા ઘૂંટડા પીવડાવ્યા હતા. કગથરાએ વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપ્યો હતો અને જણાવ્યું હતું કે, શેના માટે કેસ કરો છો એ કહેવાની ત્રેવડ હોય તો સમાજની વાત કરવી નહીંતર ભાજપ-કોંગ્રેસની વાત કરવી.
પાટીદારની એકતા, અખંડતા અને અનામત આંદોલન વખતે પાટીદાર દીકરાઓ પર થયેલ અન્યાય બાદ નિર્દોષ છૂટવા બાબતે તાજેતરમાં ધ્રોલ ખાતે અંગ્રણી પાટીદારોની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપા સંગઠનના મહામંત્રી દિલીપભાઈ ભોજાણી અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધરમશી ચનીયારાની હાજરીમાંએકતા બાબતે વાત કરતા રાજકોટના પાટીદાર સમાજના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ ધારદાર અને સ્પષ્ટ ભાષણ આપ્યું હતું.
ધ્રોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે, આ છોકરાઓ ત્રાસવાદી હતા ? આ ચોરી કરવા ગયા હતા. ? તો શેના કેસ ભાઈ ? આજે શેનો આનંદ ઉજવીએ છીએ ? એક માગણી હતી અમારા સમાજની. આ દીકરાઓને લાગતું હતું કે અમને અનામત કેમ નહી ? એનું આંદોલન હતું. એ આંદોલનમાં જે કેસ ઠોકી બેસાડ્યા હતા. એમા આપણે આજે નિર્દોષ છૂટ્યા છીએ એનો આજે આપણે આનંદ મનાવી રહ્યા છીએ.
તેમણે વધુમાં કહ્યું કે, જે લોકોએ છોકરાઓને નિર્દોષ છોડાવ્યા તેઓનો આભાર માનું છું, હમણાં વાત થઇ હિંદુ સમાજની, બીજા સમાજથી દીકરીઓનું રક્ષણ કરવાની. અરે આપણી દીકરીઓના સરઘસ નીકળે અને આપણે ગામની દીકરીઓની રાહ જોવાની ?? સવાલ ત્યાં છે. આંખો ખોલો સમાજ સંગઠિત હશે તો સો ટકા ગમે તે જીતશે. કોઇના બાપની શરમ વગર કહેવાની ત્રેવડ હોવી જોઇએ કે મારો સમાજ વ્યાજવટાથી ત્રાહિમા પોકારી ગયો છે.
લલિત કગથરાએ ઉમેર્યું હતું કે, એની સામે મનોજ પનારાને ધન્યવાદ આપું છું કે, મોરબીમાં કદાચ 50 કરોડ રૂપિયા બચાવ્યા હશે. ભલે ઉઘાડા પગે રહ્યાં.પણ લડે તો છે. આવાની જરૂર છે. કોઇ મરદના દીકરાએ એમ કહ્યું કે જયેશ પટેલનો શુ વાંક છે. શેના માટે કેસ કરો છો? આ કહેવાની ત્રેવડ હોય તો સમાજની વાત કરવી નહીંતર ભાજપ-કોંગ્રેસની વાત કરવી. આમા ફેર શું. આટલી વાત કરવાની ટેવ રાખવી, તો જ સમાજન ભેગા કરાય અને સમાજની વાત કરાય એવું હું સ્પષ્ટ માનું છું.
