UCC in Gujarat: ગુજરાતમાં ક્યારે થશે UCC લાગુ? આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કમિટીની બેઠક મળી, ઋષિકેશ પટેલે કહ્યું- રિપોર્ટ બાદ નક્કી કરાશે

યુસીસીને લઈને ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કમિટી સંપૂર્ણ રિપોર્ટ એ સીએમને સોંપશે. રિપોર્ટ સોંપાયા બાદ તેના અમલીકરણ અંગે નક્કી કરવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 05 Aug 2025 03:22 PM (IST)Updated: Tue, 05 Aug 2025 03:22 PM (IST)
when-will-ucc-uniform-civil-code-be-implemented-in-gujarat-cm-chairs-meeting-awaiting-report-rushikesh-patel

Gujarat UCC Implementation: ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે અગાઉ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી. યુસીસી અંગેની જાહેરાત બાદ રાજ્ય સરકારે પાંચ લોકોની એક કમિટીનું ગઠન પણ કર્યું હતું. આ કમિટી દ્વારા 45 દિવસની કરેલી કામગીરીના લેખાજોખા અંગે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યુસીસી કમિટીના સદસ્યો તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ એકમાં બેઠક યોજાઇ હતી.

બેઠક બાદ યુસીસી કમિટીના અધ્યક્ષ રચના દેસાઈએ જણાવ્યું હતું કે, કાયદો લાગુ કરવામાં વધુ સમય લાગશે નહીં. તેમણે ઉમેર્યું કે, કમિટીએ દરેક જિલ્લામાં જઈને બેઠકો કરી છે અને અત્યાર સુધીમાં 1,15,000 જેટલી રજૂઆતો સાંભળવામાં આવી છે. કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ એક મહિનામાં સરકારને સુપ્રત કરવામાં આવશે.

સવા લાખ જેટલી રજૂઆતો આવીઃ ઋષિકેશ પટેલ

યુસીસીને લઈને ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હર્ષ સંઘવી પણ ઉપસ્થિત હતા અને સાથે અધિકારીઓ અને પૂરી કમિટી ઔપચારિક બેઠક હતી અને ઔપચારિક બેઠકની અંદર એની ચર્ચા થઈ અને ચર્ચા થયાના અંતે લગભગ એકાદ માસની અંદર અથવા તો એનાથી કદાચ થોડો ઘણો વધારે પ્લસ માઇનસ સમય થાય પરંતુ એ સંપૂર્ણ રિપોર્ટ એ સીએમને સોંપશે.

આટલો બધો વાઈડ ગુજરાત વિવિધ સમાજો વિવિધ વર્ગના લોકો એમની રજૂઆતો લગભગ સવા લાખ જેટલી રજૂઆતો અને એના નિષ્કર્ષના તારણો ઉપર આવતા 45 દિવસ નક્કી કર્યા હતા પરંતુ એમાં જે સમય લાગ્યો એના નિષ્કર્ષ તારણો અને બધાના જે ઓપિનિયન સાંભળવાની આખી પ્રક્રિયા તમામ સમાજના લોકો તમામ જિલ્લાઓમાં તમામ પ્રતિનિધિઓ સાથે આમ વિશાળ શ્રેણીની અંદર ઓનલાઇન પણ એ લોકોએ અભિપ્રાય મંગાવ્યા હતા અને સાથે રૂબરૂ પણ મુલાકાતો કરી.આ અભિપ્રાયો ને એના નિષ્કર્ષ ઉપર આવતા સ્વાભાવિક છે સમય લાગે એટલે આમાં એ સમય લાગેલો છે. રિપોર્ટ સોંપાયા બાદ તેના અમલીકરણ અંગે નક્કી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષપણા હેઠળ પાંચ સભ્યોની કમિટીની રચના કરી હતી. આ કમિટીમાં પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર, સામાજિક કાર્યકર ગીતાબેન, એડવોકેટ આર.સી. કોડેકર અને નિવૃત્ત IAS સી.એલ. મીણાંનો સમાવેશ થાય છે. દેશમાં ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે.