SIR Works: સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે.
2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે.
આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે પૈકી કુલ ચાર વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી 100 ટકા પુરી થઈ ચુકી છે. જેમાં બનાસકાંઠાની ધાનેરા અને થરાદ, દાહોદની લીમખેડા અને રાજકોટની ધોરાજી બેઠકનો સમાવેશ થાય છે.
આ કામગીરીમાં 93.55% ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.
| જિલ્લો | ટકાવારી |
| ડાંગ | 93.55 |
| ગીરસોમનાથ | 89.62 |
| મોરબી | 89.07 |
| સાબરકાંઠા | 89 |
| બનાસકાંઠા | 88.96 |
| મહીસાગર | 88.91 |
| છોટા ઉદેપુર | 88.81 |
| પંચમહાલ | 87.88 |
| અરવલ્લી | 87.67 |
| સુરેન્દ્રનગર | 87.45 |
ગણતરી દરમિયાન રાજ્યભરમાં 16 લાખ જેટલા અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. જ્યારે 4.40 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા. આ સાથે 23 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તેમજ 2.82 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જો આ તમામ ગણીએ તો, 46.22 લાખ જેટલા મતદારોના નામ યાદીમાંથી કપાઈ શકે છે.
મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સુપેરે પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ BLOની અસરકારક કામગીરીને CEO કચેરી દ્વારા બિરદાવવામાં આવી રહી છે. સાથોસાથ BLOને કોઈપણ તકલીફ હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
