Rushikesh Patel on Gopal Italia: હાલ વિસાવદર-ભેસાણના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ચર્ચામાં છે. આજે તેઓએ ધારાસભ્ય તરીકેના શપથ લીધા છે. ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પહેલીવાર ગોપાલ ઈટાલિયાને લઈને પ્રતિક્રિયા સામે આવી છે. જેમા તેઓએ ગોપાલ ઈટાલિયાને મહત્વની સલાહ આપી છે.
પત્રકારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને પુછ્યું હતું કે ગોપાલ ઈટાલિયાનું કહેવું છે કે સરકારમાં ભ્રષ્ટાચાર છે, બ્રિજ તૂટે છે, રોડ-રસ્તા ખરાબ છે તો સરકારે રાજીનામુ આપવું જોઈએ ગોપાલ રાજીનામુ નહીં આપે. આના જવાબમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ગોપાલભાઈને રાજીનામુ આપવા માટે સરકારમાંથી કોઈએ કહ્યું નથી અને સરકાર એવું કહેતી પણ નથી. લોક ચૂકાદો જ્યારે આવ્યો હોય ત્યારે બાકીનો સમય પોતાના વિધાનસભા મત વિસ્તારમાં તેણે કામ કરવું જોઈએ. બાકીના અઢી વર્ષ તેમની પાસે છે. વિસાવદરના લોકોની જે આશા અને અપેક્ષા છે તે પૂર્ણ કરે. ચૂંટણી ક્યાં દૂર છે 2027માં અઢી વર્ષ પછી સામાન્ય ચૂંટણી આવશે એટલે ગુજરાતની જનતા તેને બરાબર ચૂકાદો આપશે.
કાંતિ અમૃતિયા- ગોપાલ ઇટાલિયા વિવાદ શું હતો?
તાજેતરમાં ગોપાલ ઇટાલિયા સાથેના રાજકીય વિવાદને કારણે કાંતિ અમૃતિયા પણ ચર્ચામાં છે. કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી જીતી બતાવે તેવો પડકાર ફેંક્યો હતો. જેને સ્વીકારી ઇટાલિયાએ કાંતિ અમૃતિયા 12 જુલાઈ સુધીમાં રાજીનામું આપી બતાવે તેવી ચેલેન્જ ફેંકી હતી. આથી કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે આવો ગાંધીનગર આપણે સાથે રાજીનામા આપીએ. આ પડકાર સ્વીકારીને 14 જુલાઈ 2025ના રોજ કાંતિ અમૃતિયા વિધાનસભા રાજીનામુ આપવા પહોંચ્યા હતા. પરંતુ ગોપાલ ઈટાલિયા ન આવતા તેઓ રાજીનામુ આપ્યા વગર પરત ગયા હતા.
