PM Modi Gujarat Visit: ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય અંકિત કર્યો છે. ત્યારે ભાજપના ભવ્ય વિજયને વધાવવા માટે દેશના વડાપ્રધાન ગુજરાતમાં મે માસમાં આવી રહ્યા છે. દેશના PM નરેન્દ્ર મોદીના ગુજરાતમાં આગમન દરમિયાન આગામી 11 અને 12 મેના રોજ ભાજપ રોડ-શોનું આયોજન કરી શકે છે. ચૂંટણીના બીજા દિવસે જ ગુજરાત પ્રદેશ ભાજપ ખાતે આયોજિત ઔપચારિક ભોજન સમારંભમાં આ અંગે નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી.
ભાજપની જીત પાછળ PM 'મોદી'ની છવિ
ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક જીત નરેન્દ્ર મોદીની છવિને લીધે મળી છે. જેથી ભાજપ દ્વારા પીએમને અભિવાદન કે અભિનંદન રુપે આવકારશે. તેમજ ગાંધીનગરમાં મોટો સમારોહનું આયોજન યોજવાની વિચારણા ચાલી રહી છે. ત્યારે રાજ્યભરમાંથી કાર્યકરો સમારોહમાં જોડાય તેવી યોજના બની શકે છે.
PMના હસ્તે સરદારધામનું થશે ઉદ્ધાટન
ગુજરાત સરકાર દ્વારા સોમનાથ મંદિરના સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન જોડાયા હતા. ત્યારે હવે આવતા મહિનામાં સરદાર પટેલે સોમનાથનો જીર્ણોદ્વાર કરાવ્યાના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જેને પગલે પીએમ મોદી સોમનાથ મંદિરમાં જશે. જેથી અહીં પણ એક કાર્યક્રમનું આયોજન કરાય તેવી શક્યતા છે. ઉપરાંત, વડોદરામાં પાટીદાર સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા સરદાર ધામનું ઉદ્ધાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.
PM મોદીનો પ્રવાસ રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ
વડાપ્રધાન મોદી પોતાના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના રાજભવન કે સોમનાથમાં રોકાણ કરી શકે છે. જોકે, સામાન્ય ચૂંટણી પછી પીએમની આ મુલાકાત ગુજરાતમાં રાજકીય રીતે અતિમહત્વપૂર્ણ ગણાશે.
