Rupal Palli Melo: આજે ગાંધીનગરના રુપાલમાં યોજાશે માતાજીની પલ્લી, ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી જોવા મળશે

ખાનપાનની ચકાસણી માટે ફુડ એન્ડ સેફ્ટી માટેની કુલ 9 ફુડ સેફ્ટી અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 30 Sep 2025 12:01 AM (IST)Updated: Tue, 30 Sep 2025 12:01 AM (IST)
matajis-rupal-palli-melo-in-gandhinagar-takes-place-today-rivers-of-ghee-to-flow-through-village-roads

Rupal Palli Date 2025, Rupal Palli Melo 2025 Gandhinagar: આજે 30 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરના રુપાલ ગામે વરદાયિની માતાજીની પાલખી સાથે શોભાયાત્રા કાઢવામાં આવશે. આસો નવરાત્રીના નોમના દિવસે માતાજીની પલ્લી કાઢવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. આ પલ્લી દરમિયાન ઘીનો અભિષેક કરવામાં આવે છે. જેના કારણે ગામના રસ્તાઓ પર જાણે કે ઘીની નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળે છે. પલ્લીની શોભાયાત્રા રાત્રે 12 વાગ્યા પછી શરૂ થશે. સંસ્થા દ્વારા દર્શનાર્થીઓ માટે સાંજે 6 વાગ્યાથી બીજા દિવસના સવારના 6 વાગ્યા સુધી નિ:શુલ્ક ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

275 પોલીસ અને 300 હોમગાર્ડ જવાનો રહેશે તહેનાત

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ તથા સુરક્ષાત્મક પગલાં અંગે વાત કરવામાં આવે તો,કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે 11 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવી છે. ખાનપાનની ચકાસણી માટે ફુડ એન્ડ સેફ્ટી માટેની કુલ 9 ફુડ સેફ્ટી અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. ઉપરાંત પલ્લીના કુલ 24 સ્થળોએ 24 અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. સાથેજ સુરક્ષાના કારણોસર અંદાજે 275 પોલીસ અને 300 હોમગાર્ડ જવાનોને ડ્યુટી સોંપવામાં આવી છે.

ગાંધીનગર રૂપાલ ખાતે અમદાવાદ એસ.ટી ડેપોથી પણ 10 વાહનોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.તથા ફાયર સેફ્ટીની 4 ટીમ તથા UGVCLની 17 ટીમ ગોઠવવામાં આવી છે. ઉપરાંત દાન સ્વિકાર કેન્દ્ર ખાતે પણ 19 કર્મચારીઓને‌ કામગીરી સોંપવામાં આવી છે. આ પલ્લી મહોત્સવમાં લાખોની જનમેદની ઉપસ્થિત રહેશે, ત્યારે જિલ્લા કલેકટર મેહુલ કે.દવેએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક પણ ચુક ન રહે તેવા ઝીણવટભર્યા આયોજન થકી, ગાંધીનગરના આંગણે ઉજવાતો પલ્લી અવસર સુંદર સંભારણું બની રહેશે,તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

પલ્લીના દિવસ દરમ્યાન ખોરાક શાખા દુકાનોમાં ઘીની તપાસ કરશે

આસો સુદ નોમના દિવસે રૂપાલ ગામ વરદાયિની માતાની પલ્લી ઉજવવામાં આવનાર હોય, તે અન્વયે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર વર્તુળ દ્વારા રૂપાલ ગામે ખાણી પીણીની પેઢીઓની તપાસ કરવામા આવી હતી.  ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા જુદી જુદી 13 જેટલી ખાણી પીણીની પેઢીઓની તપાસ કરી ભક્તોને શુધ્ધ, આરોગ્યપ્રદ, હાઇજેનિક ખોરાક મળી રહે તે માટે જરૂરી સૂચનો કરેલ છે.

આ ઉપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સને પણ સતત ફરતી રાખીને પાછલા અઠવાડિયાંમાં 40 જેટલી પેઢીઓમાં તપાસ કરી ટીપીસી મશીનથી તળેલાં તેલની તપાસ તેમજ પીવાના પાણીની બોટલમાંથી pH  મશીનથી pH ટેસ્ટની સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી.  પલ્લીના દિવસ દરમ્યાન ખોરાક અને ઔષધ નિયમન ગાંધીનગર તેમજ અન્ય જિલ્લાની ટીમો દ્વારા રૂપાલ ખાતે સતત ઉપસ્થિત રહી ઘીના વેચાણ કરતા ફેરિયાઓની, દુકાનોમાંથી ઘીની તપાસ કરી અને કાયદેસરના નમૂના લેવાની કામગીરી કરવામાં આવશે.

રૂપાલ ગામને જોડતા તમામ રોડ પર જંગલ કટીંગ તેમજ ડામર પેચ વર્ક કરાયું

રૂપાલ પલ્લી મેળાના અવસરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને માર્ગો પર સુગમતા રહે તે માટે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓની સવલત માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા સતત ખડેપગે રહી રૂપાલ ગામને જોડતા તમામ રોડ પર જંગલ કટીંગ કરાયું હતું. આ સાથે રૂપાલ એસ.ટી. સ્ટેન્ડથી રૂપાલ-આમજા રોડ, રૂપાલ-સોનીપુર રોડ, રૂપાલ એપ્રોચ રોડ તથા કરાઈ એપ્રોચ રોડ પર ડામર પેચ વર્ક કરવામાં આવ્યું હતું.

વરદાયિની મંદિર તરીકે પણ ઓળખાય છે

રામાયણ અને મહાભારતકાળ સાથે જોડાયેલું ગાંધીનગરનું એક અદભુત અને ઐતિહાસિક મંદિર એટલે રૂપાલનું વરદાયિની માતા મંદિર.જ્યાં હજારો યાત્રિકો અને ભાવિક ભક્તો દેશ વિદેશથી પલ્લી દર્શન અને જગત જનની વરદાયિની મનમોક સ્વરૂપના દર્શન કરવા આવે છે,અને મા ના સાક્ષાત્કાર સાથે અગમ્ય અનુભવ કરવા સાથે રમણીય દર્શનીય સ્થાન એટલે આપણા રૂપાલનું પલ્લી મંદિર, જે વરદાયિની મંદિર તરીકે પણ ઓળખાય છે,ત્યાં આવી ધન્યતા અનુભવે છે. ગાંધીનગર જિલ્લાની આગવી ઓળખ અને ઐતિહાસિક, ધાર્મિક રીતે મહત્વ ધરાવતા વરદાયિની માતાનું પૌરાણિક મંદિર જે ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામે આવેલું છે‌.

શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાનનું પાંડવકાલીન પ્રાચીન અને પવિત્ર મંદિરને  સિદ્ધરાજ જયસિંહ દ્વારા જીર્ણોદ્ધાર કરીને બનાવવામાં આવ્યું છે. આ મંદિરના બાંધકામની વાત કરવામાં આવે તો તે, સુંદર બંસી પહાડપુરી પથ્થરથી તેમજ સોમપુરા વાસ્તુકલા શૈલી સહિત, સુંદર શિલ્પકલા સભર ખુબજ આકર્ષક કલાકૌશલ્ય થકી નવનિર્મિત કરવામાં આવ્યું છે. તેમજ મંદિર પર સોનાના કળશ અને સોનાના ધ્વજ દંડ પર માં ની ધજા અતિ સોહામણી છાયા ઉભી કરે છે. તેમજ સભા મંડપમાં નવદુર્ગાની મૂર્તિઓ અને શિવ પરિવારના દર્શન પણ મુખ્ય આકર્ષણ રૂપે દ્રશ્યમાન છે.

માતાજીના ગર્ભગૃહમાં શુદ્ધ સુવર્ણથી મઢેલ વિશાળ દરવાજા અને તેની કમાન તેમજ માતાજીના ગોખમાં રામાયણ અને મહાભારતનો ઇતિહાસ આલેખન કરવામાં આવ્યો છે. તે પણ સોનાથી મઢેલ હોવાથી માતા શ્રી વરદાયિનીની શ્વેત આરસની મૂર્તિનો શણગાર અને માં નું મુખમંડળ પરની આભા આભૂષણો અને વસ્ત્રોથી શુશોભીત મૂર્તિના દર્શન મનોહર મનમોહક અને દૈદીપ્યમાન દર્શન થાય છે. મૂર્તિનું મનમોહક સ્વરૂપ આપને મૂર્તિમાં ધ્યાન મગ્ન અને આકર્ષિત કરે છે. મંદિરનો સુંદર આકર્ષક અને વિશાળ સભામંડપ અને હજારો લોકોને સરળતાથી દર્શન થઈ શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.