Jignesh Mevani Statement Kinjal Rabari: લોકપ્રિય સિંગર કિંજલ રબારી, મુકેશ દેસાઈ અને અશોક ચૌધરી વચ્ચેનો લગ્ન વિવાદ દિવસેને દિવસે વધુ ઘેરો બની રહ્યો છે. હાઈકોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂઆત, અપહરણના આક્ષેપો, મૈત્રી કરાર અને ત્યારબાદ કિંજલ રબારી દ્વારા સ્વેચ્છાએ સાથે ગયા હોવાના સ્પષ્ટ અહેવાલો બાદ આ સમગ્ર મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ વિવાદ પર તીખી પ્રતિક્રિયા આપીને વિવાદને નવો વળાંક આપ્યો છે.
'અસલી મુદ્દાઓથી જનતાનું ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે': જીગ્નેશ મેવાણી
આ પણ વાંચો
વિધાનસભા પરિસરમાં મીડિયા સાથેની વાતચીતમાં જિજ્ઞેશ મેવાણીએ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "હું સમગ્ર ગુજરાતની જનતાને એટલું જ કહેવા માગું છું કે દેશ અને દુનિયામાં 80% વસ્તી પાસે રોટી, કપડાં, મકાન નથી. શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જેવા પાયાના પ્રશ્નો વિકટ છે. દેશમાં છેલ્લા 25-35 વર્ષમાં અંદાજીત 3 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ બધા જ ગંભીર પ્રશ્નો આપણી પ્રાથમિકતામાં નથી! કોણે કોને પ્રેમ કર્યો અને કોણે કોની જોડે લગ્ન કર્યા, આ તો યાર આ દેશમાં કોઈ ચર્ચાનો વિષય છે?"
અપહરણની અફવા અને સ્વેચ્છાએ જવાનો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સોશિયલ મીડિયા પર સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ કિંજલ રબારીના અપહરણની વાતો વહેતી થઈ હતી. ત્યારબાદ કિંજલ રબારીના મૈત્રી કરાર કરનાર પતિ મુકેશ દેસાઈ દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. જોકે, કિંજલ રબારીએ પાછળથી પોતે સ્વેચ્છાએ અશોક ચૌધરી સાથે ગઈ હોવાનો ખુલાસો કર્યો હતો અને આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.
મુખ્ય પ્રશ્નો પર ધ્યાન આપવા અપીલ
જીગ્નેશ મેવાણીએ ઉમેર્યું હતું કે ગુજરાતમાં ખેડૂતો, મોંઘવારી અને બેરોજગારી જેવા અનેક જ્વલંત પ્રશ્નોથી જનતા પરેશાન છે, પરંતુ લોકો અને મીડિયા વ્યક્તિગત સંબંધો અને લગ્નના કિસ્સાઓમાં વધુ રસ લઈ રહ્યા છે. હવે આ વિવાદ રાજકીય અને સામાજિક સ્તરે કયું રૂપ ધારણ કરે છે તે જોવું રહ્યું.
