ગુજરાત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ, 2026’ વિધાનસભા ગૃહમાં બહુમતીથી પસાર, 5 કાયદાઓની 12 જોગવાઈઓમાં સુધારો કરાયો

રાજ્યના વિવિધ પાંચ કાયદાઓની 12 જોગવાઈઓમાં સુધારા કરવાથી ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’નો સંકલ્પ સાકાર કરાશે. નાગરિકો અને ઉદ્યોગો પરનો કમ્પ્લાયન્સ બોજ ઘટશે;સ્વ-ઘોષણા, સ્વ-પ્રમાણીકરણ અને ઑટો-એસ્કેલેશન મિકેનિઝમથી પારદર્શિતા વધશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 11 Sep 2026 04:08 PM (IST)Updated: Fri, 11 Sep 2026 04:08 PM (IST)
gujarat-ease-of-doing-business-bill-2026-passed-by-assembly-12-provisions-in-5-laws-amended

Gandhinagar News: ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે રાજ્યમાં ઉદ્યોગ-વ્યવસાય માટેની નિયમનકારી પ્રક્રિયાઓને વધુ સરળ, ઝડપી, પારદર્શક અને ઉદ્યોગ સ્નેહી બનાવવા માટે ‘ગુજરાત ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ બિલ,2026’ પસાર કરવામાં આવ્યું છે. ઉદ્યોગ રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીતે જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ પાંચ કાયદાઓની 12 જોગવાઈઓમાં સુધારા કરવાથી ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’નો સંકલ્પ સાકાર કરાશે. નાગરિકો અને ઉદ્યોગો પરનો કમ્પ્લાયન્સ બોજ ઘટશે;સ્વ-ઘોષણા, સ્વ-પ્રમાણીકરણ અને ઑટો-એસ્કેલેશન મિકેનિઝમથી પારદર્શિતા વધશે. ગુજરાત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલથી રાજ્યમાં ‘ટ્રસ્ટ-બેઝ્ડ ગવર્નન્સ’ અને રોકાણ-અનુકૂળ વાતાવરણને નવી ગતિ મળશે.

ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ.જયરામ ગામીતે બિલ અંગે ગૃહમાં વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મિનિમમ ગવર્નમેન્ટ,મેક્સિમમ ગવર્નન્સ'ના વિઝનને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે.રાજ્યમાં વ્યવસાય અને રોકાણકારી પ્રક્રિયાઓને વધુ સરળ, પારદર્શક અને ઉદ્યોગસ્નેહી બનાવવાના હેતુથી આ મહત્વપૂર્ણ વિધેયક લાવવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે,આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગો અને નાગરિકો પરનો બિનજરૂરી નિયમનકારી બોજ ઘટાડવાનો, પ્રક્રિયાઓને સરળ બનાવવાનો, સ્વ-ઘોષણા અને સ્વ-પ્રમાણીકરણને પ્રોત્સાહન આપવાનો તેમજ જોખમ આધારિત અને ટેક્નોલોજી આધારિત વહીવટી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો છે.ઓછા જોખમવાળી પ્રવૃત્તિઓમાં ફરજિયાત પૂર્વ મંજૂરી તથા ભૌતિક સંપર્કની જરૂરિયાત ઘટાડીને વિશ્વાસ આધારિત શાસન તરફ આગળ વધવાની દિશા આ બિલમાં દર્શાવવામાં આવી છે.

ગૃહમાં વિધેયકના હાર્દ અને હેતુ સ્પષ્ટ કરતાં રાજય મંત્રી ડૉ જયરામ ગામીતે જણાવ્યું હતું કે, આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય નિયંત્રણ આધારિત શાસનમાંથી ‘વિશ્વાસ અને જોખમ આધારિત શાસન’ (Trust-Based & Risk-Based Governance) તરફ આગળ વધવાનો છે. આ વિધેયક દ્વારા જુદા જુદા પાંચ રાજ્ય કાયદાઓની 12 સુધારાત્મક કલમોને એક જ છત્ર હેઠળ લાવીને કાયદાકીય પ્રક્રિયાને સરળ બનાવીને સદનનો સમય બચાવવામાં આવ્યો છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @2047ના સંકલ્પ, ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026 અને આગામી 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના પૃષ્ઠભૂમિમાં આ સુધારાઓ રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરશે.

બિલ હેઠળ પ્રસ્તાવિત મુખ્ય કાયદાકીય સુધારાઓ:

ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2013

અગ્નિ સલામતીના ધોરણોને જોખમ અને કામગીરી આધારિત (Risk-based and Performance-oriented) બનાવવામાં આવ્યા છે. સ્થાનિક પરિસ્થિતિ અને બિલ્ડિંગના પ્રકાર મુજબ નિયમોને સુસંગત કરી કમ્પ્લાયન્સ ખર્ચ ઘટાડાશે.

ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ,2019

સ્વ-ઘોષણા (Self-declaration) અને સ્વ-પ્રમાણીકરણ દ્વારા રજિસ્ટ્રેશન સરળ બનશે. 24*7 ઓપરેશન્સની સુવિધા સાથે જ કામદારોના હક્કો અને સુરક્ષા યથાવત રખાશે.
દુકાનો અને સંસ્થાઓને અઠવાડિયાના કોઈપણ દિવસે 24*7 કામગીરી કરવાની સુવિધા મળશે, જે કામના કલાકો, આરામના અંતરાલ તથા રોજગારની શરતો સંબંધિત લાગુ કાયદાઓને આધીન રહેશે.

ગુજરાત એમએસએમઈ ફેસિલિટેશન એક્ટ, 2019

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ‘રાઇટ ટુ બિઝનેસ’ માળખું વધુ મજબૂત કરાશે. સહકારી, વીજળી, જીઆઈડીસી અને સિંચાઈ જેવા વધારાના 8 રાજ્ય કાયદાઓને ફેસિલિટેશન ફ્રેમવર્ક સાથે સુસંગત કરાયા છે.

ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1967

અન્ય રાજ્યમાં નોંધાયેલા તબીબો માટે સેલ્ફ-ડિક્લેરેશનના આધારે ગુજરાતમાં નોંધણી મેળવવી સરળ બનશે, જેથી તબીબી સેવાઓ અને પ્રોફેશનલ મોબિલિટી ઝડપી બનશે.

ગુજરાત રાઇટ ઓફ સિટિઝન્સ ટુ પબ્લિક સર્વિસિસ એક્ટ, 2013

સમયમર્યાદામાં સરકારી સેવા કે ફરિયાદનો નિકાલ ન થાય તો મામલો આપમેળે ઉચ્ચ અધિકારી સમક્ષ જતો રહે તે માટે ટેકનોલોજી આધારિત ‘ઑટો-અપીલ’ અને ‘ઑટો-એસ્કેલેશન’ મિકેનિઝમ અમલી બનશે.

વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @2047’ના સંકલ્પ સાથે જાહેર કરાયેલી ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026, તાજેતરમાં ચારેય રીજીયન (પ્રાદેશિક) યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ્સ અને આગામી જાન્યુઆરીમાં યોજાનાર 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 (‘વિકસિત ગુજરાત – શેપિંગ ગ્લોબલ ફ્યુચર’) માટે આ કાયદાકીય સુધારા અગત્યનું માઈલસ્ટોન સાબિત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે,જાહેર સલામતી, કામદારોના અધિકારો અને જાહેર આરોગ્ય સાથે કોઈ સમજૂતી કર્યા વિના, બિનજરૂરી પ્રક્રિયાત્મક જટિલતાઓ દૂર કરીને ગુજરાતને સમગ્ર દેશ અને વિશ્વ માટે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બનાવવાની દિશામાં આ વિધેયક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બનશે.

Reform, Perform and Transform’ના વડાપ્રધાનના મંત્ર સાથે રાજ્ય સરકાર ગુજરાતને વધુ સરળ, ઝડપી અને ઉદ્યોગસ્નેહી બનાવવાની દિશામાં સતત આગળ વધી રહી છે. આ બિલ રાજ્યમાં રોકાણ, ઉદ્યોગ અને રોજગાર માટે વધુ અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ગુજરાત રોકાણ,ઔદ્યોગિક વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને Ease of Doing Business ક્ષેત્રે અગ્રણી રાજ્ય તરીકે આગળ વધી રહ્યું છે ત્યારે આ બિલ રાજ્યના વિકાસને વધુ ગતિ આપનારું મહત્વપૂર્ણ પગલું બનશે.આ વિધેયક પસાર થતાં જ ગુજરાતમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને ઈઝ ઓફ લિવિંગના ઉચ્ચ સ્તરી હાસલ તેમ, મંત્રી ગામીતે ગૃહમાં ઉમેર્યું હતું.

'ગુજરાત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ,2026’ વિધાનસભા ગૃહમાં આજે બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું.