ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીનો ઐતિહાસિક નિર્ણયઃ હવે વારસાઈ જમીન વ્યવહારમાં માત્ર રૂ. 300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી જ લાગશે

હાલમાં સ્ટેમ્પ ડ્યુટી વધુ હોવાથી જે ઘણા વ્યવહારો બિનદસ્તાવેજી રહે છે, આ સુધારા પછી લોકો સરળતાથી નોંધણી કરાવશે અને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ મળશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 27 Mar 2026 05:05 PM (IST)Updated: Fri, 27 Mar 2026 05:05 PM (IST)
gujarat-cm-bhupendra-patel-cuts-stamp-duty-to-rs-300-for-land-inheritance-transfers
HIGHLIGHTS
  • પરિવારના સભ્યો વચ્ચે મિલકતો વહેંચણીની સરળતા થતાં વિવાદ અને કોર્ટ કેસમાં ઘટાડો થશે
  • ખેડૂતોને ખેતીની જમીનની વારસાઈ મિલકતના વેચાણમાં આર્થિક ભાર ઓછો થશે

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાં રાહત આપવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી સમક્ષ સમાજના વિવિધ અગ્રણીઓ, કિસાન સંઘ તથા ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો તેમણે સકારાત્મક પ્રતિસાદ આપીને આ ખેડૂત તથા પ્રજા હિતકારી નિર્ણય કર્યો છે.

ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અથવા માફ કરવા મળેલી સત્તા અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતીની જમીન અંગેના કેટલાક કિસ્સાઓમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાંથી રાહત આપીને રૂપિયા 300 ટોકન સ્ટેમ્પ ડ્યુટી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર, વારસાઈની નોંધ/નોંધો હેઠળના સંયુકત કબજેદારો પૈકીના કોઈ એક અથવા વધુ વારસો (મરણ જનાર મૂળ ખાતેદારના સીધી લીટીના કેસમાં એક પણ વારસ હયાત ન હોય તો આડી લીટીના વારસો) દ્વારા અન્ય એક કે વધુ વારસદારોની તરફેણમાં એક અથવા વધુ તબક્કાઓમાં હકક ઉઠાવવાના કિસ્સામાં પ્રત્યેક હકક ઉઠાવવા/કમીના લેખ પર રૂ.300/- સ્ટેમ્પ ડયુટી લેવાશે.

જો સીધી લીટીના વારસો હયાત હોય તો તે પૈકીના એક યા વધુના નામ એક અથવા વધુ તબક્કાઓમાં દાખલ કરવાના કિસ્સામાં, સીધીલીટીના એક પણ વારસ હયાત ન હોય તો આડીલીટીના હયાત પૈકીના એક યા વધુ વારસોના નામ દાખલ કરવાના કિસ્સામાં પ્રત્યેક હયાતીમાં હકક દાખલના લેખ પર રૂ.300/- સ્ટેમ્પ ડયુટી વસૂલ કરવામાં આવશે.

સમયના ક્રમાનુસાર એક યા વધુ તબક્કે વારસાઈ નોંધ/નોંધો અન્વયે દાખલ થયેલ સંયુકત ખાતેદારો દ્વારા એક અથવા વધુ તબક્કે વહેંચણી કરવામાં આવે (આવી વારસાઈથી સીધીલીટી અથવા તેની હયાતી ન હોય ત્યારે આડીલીટીના વારસો દાખલ થયેલ હોઈ શકે) પ્રત્યેક વહેંચણીના લેખ પર રૂ.300/- સ્ટેમ્પ ડયુટી લેવાશે.

આ ઉપરાંત ખેતીની જમીનો માટે જે જોગવાઈ કરવામાં આવી છે તેમાં:

જે કિસ્સામાં સીધીલીટીના એક પણ વારસ હયાત ન હોય તો જ આડીલીટીના પ્રકારના એક કે વધુ વારસદારોની તરફેણમાં એક અથવા વધુ તબક્કાઓમાં હકક ઉઠાવવો, હયાતીમાં નામ/હક્ક દાખલ કરવા તથા વહેંચણી અંગે, ઉક્ત દર્શાવેલ પ્રત્યેક તબદીલી લેખ રૂ.300/- સ્ટેમ્પ ડયુટી વસુલી વિનિયમિત કરવાની રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાલક્ષી નિર્ણયના પરિણામે પરિવારના સભ્યો વચ્ચે મિલકત વહેંચણી સરળ બનવાથી કોર્ટ કેસ અને વિવાદોમાં ઘટાડો થશે, કાયદેસર દસ્તાવેજીકરણમાં વધારો થશે અને હાલમાં સ્ટેમ્પ ડ્યુટી વધુ હોવાથી જે ઘણા વ્યવહારો બિનદસ્તાવેજી રહે છે. તેમાં આ સુધારા પછી લોકો સરળતાથી નોંધણી કરાવશે.

એટલુ જ નહિ, ખેડૂતોને ખેતીની જમીનની વારસાઈ મિલકતના વહેંચાણમાં આર્થિક ભાર ઓછો પડવાથી મોટી રાહત મળશે અને પારદર્શિતા અને સ્પષ્ટતાનો ધ્યેય સાકાર થશે એટલે કે, હકક પત્રક (record of rights) વધુ સ્પષ્ટ બનશે અને જમીનના માલિકી હક્ક અંગેની ગેરસમજ ઘટશે.

આ રૂ.300/- ની સરળ સ્ટેમ્પ ડ્યુટીથી પ્રક્રિયા ઝડપી અને વ્યવહારિક બનશે અને લોકોને વ્યવહારોમાં વધુ સરળતા થવાથી ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ મળશે.