Gandhinagar: ગાંધીનગરના રાંધેજા ગામના પ્રગતિશીલ ખેડૂત જ્યોતિન્દ્રભાઈ ઠાકરે વર્ષ 1987થી પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવી કૃષિ ક્ષેત્રે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા ચાર દાયકાથી તેઓ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ત્યાગ કરી સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. તેમની આ પહેલ માત્ર પોતાના પરિવાર માટે જ નહીં, પરંતુ આસપાસના ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની છે.
જ્યોતિન્દ્રભાઈનું કહેવું છે કે, રાષ્ટ્રના હિત માટે કૃષિએ દેશની કરોડરજ્જુ છે અને જો કરોડરજ્જુ જ મજબૂત નહીં હોય તો દેશનો વિકાસ રૂંધાય શકે છે. આથી તેમણે ગાય આધારિત ખેતી પદ્ધતિ અપનાવી કુદરતી ઉપચાર દ્વારા જમીનની ઉપજાઉ શક્તિ જાળવી રાખી છે. જેના પરિણામે જમીનની ગુણવત્તામાં વધારો થયો છે તેમજ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થતાં આવકમાં પણ સ્થિરતા આવી છે.
તેઓ પોતાના ખેતરમાં વિવિધ પાકોનું સંકલિત વાવેતર કરી પર્યાવરણમૈત્રી ખેતીનો સફળ પ્રયોગ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીના કારણે જમીનમાં રહેલા સુક્ષ્મજીવોનું સંવર્ધન થયું છે અને ખેતી વધુ ટકાઉ બની છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી પદ્ધતિ નહીં પરંતુ જીવનશૈલી છે. જમીનને ઝેરમુક્ત રાખવી અને આગામી પેઢીને સ્વસ્થ અનાજ આપવું એ જ સાચી ખેતી છે.
આજે તેમના ખેતરમાં શાકભાજી પાકોમાં મરચા, ધાણા, ટામેટા, કોબીજ, કાકડી, અને વેલાવાળા શાકભાજી ઉગાડે છે. ફળ પાકોમાં લીંબુ, દાડમ, ફાલસા, કેળા અને શેતૂર જેવાં પાકો ઉગાડે છે અને વિશેષ તેઓએ આ પાકો માટે અશોકવાટિકા તૈયાર કરી છે.
માત્ર નોકરી કે કોઈ મોટા વ્યાપાર ધંધા થકી જ આત્મનિર્ભર બની શકાય તેવું નથી. યુવાધન જો પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને એક ગાય રાખવાથી શરુઆત કરી પ્રાકૃતિક ખેતીમાં ઝંપલાવે તો પોતે આત્મનિર્ભર બનવા સાથે દેશને પણ મદદરૂપ બની શકે છે.
આજના સમયમાં વધતા રાસાયણિક ઉપયોગ વચ્ચે રાંધેજા ગામના આ ખેડૂતની પહેલ ખેડૂતોને ઓછા ખર્ચે, વધુ આરોગ્યપ્રદ અને પર્યાવરણને અનુકૂળ ખેતી તરફ આગળ વધવા માટે અવિરત પ્રેરણા પૂરી પાડી રહી છે.
