Gandhinagar:સમગ્ર ગુજરાતમાં 'સ્વચ્છતા હી સેવા 2025' સ્વચ્છોત્સવના કાર્યક્રમ અંતર્ગત આજરોજ સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા જાગૃતિ માટે સેલ્ફી સ્ટેશનો ઉભા કરવામાં આવ્યા હતા. અહી મોટી સંખ્યામાં યુવાનોએ સેલ્ફી લીધી હતી અને સ્વચ્છતા અભિયાનમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.
આજ રોજ પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સ્વચ્છતા અભિયાનમાં કેબિનેટ મંત્રી બલવંતસિહ રાજપૂત પણ જોડાયા હતા અને સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું. જ્યારે સુરતના ડુમ્મસ બીચ ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા દરિયા કિનારાની સફાઈ કરી લોકોને સ્વચ્છતા રાખવા માટે સહભાગી થવા અપીલ કરી હતી. આ ઉપરાંત દ્વારકા ખાતે શિવરાજપુર દરિયા કિનારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા દેશમાં સ્વચ્છોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેને નાગરિકો દ્વારા ખુબ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં 17548 નવા CTUની ઓળખ કરવામાં આવી. તેમજ 4719 સીટીયુ ટ્રાન્સફોમ કરવામાં આવ્યા, આજરોજ 33 જિલ્લાઓમાં DWSMની 25 બેઠકો મળી હતી. આજની પ્રવૃતિઓમાં 276762 લોકોએ ભાગ લીધો હતો. સમગ્ર રાજ્યમાં સ્વચ્છોત્સવ અંતર્ગત આજે 8438 જુદી-જુદી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. આજે 2084 સેલ્ફી સ્ટેશનો ઉભા કર્યા હતા, જ્યાં 2328 નાગરિકોએ સેલ્ફી લીધી હતી.
સ્વચ્છોત્સવ 2025 અભિયાનમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાઈ રહ્યા છે અને પોતાના ગામ, શહેરને સ્વચ્છ રાખવા આગળ આવી રહ્યા છે. આવતીકાલે સમગ્ર રાજ્યમાં ખાસ કરીને ગામડાઓમાં ઘરે ઘરેથી કચરા વર્ગીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત ગામડાઓમાં સામુદાયિક/જાહેર સ્થળોની સ્વચ્છતા અને રસ્તાની બાજુની સફાઈ કરવામાં આવશે. તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય ધોરી માર્ગોની સફાઈ કરવામાં આવશે, ખાતર ખાડાનું ઉદ્ઘાટન અને ખાતમૂહર્ત કરાશે.
આગામી દિવસોમાં ગ્રામ પંચાયત કક્ષાએ જળાશયોની સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે, ઉપરાંત ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ જાહેર સંસ્થાઓ, સરકારી કચેરીઓ, આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, કલેકટર કચેરી, જિલ્લા પંચાયત ખાતે સફાઈ કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત વૃક્ષારોપણ, શ્રમદાન, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર સહિત કાર્યક્રમો યોજાશે.
