ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: 75 વર્ષ જૂના 'ટુકડા ધારા'માં ક્રાંતિકારી સુધારા, સમગ્ર રાજ્યમાં હવે 10 ગુંઠાના એકસમાન નિયમ

1948થી અત્યાર સુધી થયેલા તમામ ટુકડા ધારાના ભંગ કોઈપણ પેનલ્ટી વગર વિનિયમિત કરાશે, જમીન લે-વેચમાં સ્થાનિક ગૂંચવાડા દૂર થશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 01 Apr 2026 08:43 PM (IST)Updated: Wed, 01 Apr 2026 08:43 PM (IST)
gandhinagar-news-gujarat-approves-major-reform-in-75-year-old-fragmentation-law
HIGHLIGHTS
  • શહેરી વિસ્તારો ટુકડા ધારાની અસરમાંથી સંપૂર્ણ મુક્ત થશે: શહેરોના વિકાસને ગતિ મળશે

Gandhinagar: ગુજરાત સરકારે આઝાદી પછી પ્રથમવાર 75 વર્ષ જૂના ‘ટુકડા ધારા-1947’માં ધરખમ સુધારા કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ રાજ્યમાં નવા સુધારાઓ લાગુ પડશે.

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ ઐતિહાસિક વટહુકમ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સુધારાથી રાજ્યના લાખો ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત મળશે. 

રાજ્ય સરકારે ઉદારતા દાખવીને નિર્ણય કર્યો છે કે, વર્ષ 1948થી નવા કાયદાના અમલ સુધીમાં, જે કિસ્સાઓમાં જમીનના નિયમ કરતા નાના ટુકડા પડ્યા હોય અથવા કાયદાનું ઉલ્લંઘન થયું હોય, તેવા તમામ જૂના ભંગને કોઈપણ પ્રકારનો દંડ વસૂલ્યા વગર ‘રેગ્યુલાઈઝ’ (વિનિયમિત) કરવામાં આવશે. જો કે હવે આ તમામ વ્યવહારો આપોઆપ વિનિયમિત થઈ જશે અને કાયદેસર ગણાશે.

અત્યાર સુધી જંત્રીના 10 ટકા પેનલ્ટી ભર્યા પછી પણ વ્યવહાર કાયદેસર થતા ન હતા અને ‘ફોક’ ગણાતા હતા, પરંતુ હવે આ ક્રાંતિકારી સુધારાથી હજારો ‘બોનાફાઇડ’ ખરીદદારોના જમીન ટાઇટલ ક્લિયર થશે અને રેવન્યુ કોર્ટમાં ચાલતા વર્ષો જૂના કેસોનો કાયમી નિકાલ આવશે.

અગાઉ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પિયત, બિનપિયત, બાગાયત અને જીરાયત જમીન માટે ટુકડાના માપદંડો અલગ-અલગ હોવાથી સામાન્ય ખેડૂત મૂંઝવણમાં રહેતો હતો. હવે આ જટિલતા દૂર કરી સમગ્ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારો માટે લઘુત્તમ ક્ષેત્રફળ 10 ગુંઠા નક્કી કરવામાં આવ્યું છે. ખેતીની ગુણવત્તા જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે નિર્ણય લેવાયો છે કે, હવેથી 10 ગુંઠાથી ઓછો ટુકડો પાડી શકાશે નહીં, જે ખેતીની વાયબિલિટી વધારશે.

શહેરીકરણની ઝડપને ધ્યાને રાખીને, મહાનગરપાલિકા, નગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારોને આ ‘ટુકડા ધારા’માંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણયથી શહેરી વિસ્તારોમાં બિનખેતી (NA)ની પ્રક્રિયા, બાંધકામ અને જમીન લે-વેચના વ્યવહારો અત્યંત ઝડપી અને પારદર્શક બનશે, જેનાથી સર્વાંગી વિકાસને વેગ મળશે.

વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, સેટલમેન્ટ કમિશનર બીજલ શાહના અધ્યક્ષપદે રચાયેલી કમિટીના ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ આ ભલામણો સ્વીકારવામાં આવી છે. ડબલ એન્જિન સરકારના આ નિર્ણયથી જનતાના આશીર્વાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને મળશે. આ નિર્ણયથી ખેડૂતોની આર્થિક ઉન્નતિ થશે અને જમીન સંબંધી વિવાદોમાં જે નાણાં અને સમયનો વ્યય થતો હતો, તેનો કાયમી અંત આવશે.