Gandhinagar News: ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબાર યાદીમાં જણાયા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકોપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે એસપીજી કલોલના ઉપક્રમે યોજાયેલ હિંદુ એકતા સંમેલનમાં ઉપસ્થિત રહી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે હંમેશા સરદાર પટેલને અન્યાય કર્યો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના અધુરા સ્વપ્નો સાકાર કર્યા છે.
અમિત શાહે સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ માટેની તક આપવા માટે એસપીજી કલોલનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે સરદાર સાહેબનું કામ અમને વ્યક્તિત્વ સમજવા માટે ગુજરાતની બહાર નીકળવું પડે. તેઓ કહ્યું કે લક્ષદીપમાં મુસ્લિમ યુવાનો, હૈદરાબાદ, મહારાષ્ટ્ર અને નિઝામ ની સલ્તનતમાં રહેવાવાળા લોકો કહે છે કે સરદાર પટેલ ન હોત તો તેઓ પાકિસ્તાનમાં હોત. આ ઉપરાંત જૂનાગઢ અને જોધપુરને પણ અખંડ ભારતમાં સામેલ કરવાનું કામ સરદાર પટેલે કર્યું હતું. તેઓએ કહ્યું કે આઝાદી આપતી વખતે ભારત સેકડો વર્ષો સુધી ઊભું ન થાય તે માટે અંગ્રેજોએ અનેક પ્રયત્નો કર્યા ભારતના અનેક ટુકડા થશે, તેવી મનસા અંગ્રેજો ધરાવતા હતા. 500થી વધુ રાજા રજવાડાઓને એક કરવાનું ભગીરથ કામ સરદાર વલ્લભભાઈ પટેલે કરી અને ભારતના અખંડ બનવાનો રસ્તો પ્રશસ્ત કર્યો હતો.
શાહે કહ્યું હતું કે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ સમગ્ર દેશમાં પ્રવાસ કરવાનું થયું અને તેના કારણે અનેક બુદ્ધિજીવીઑને મળવાનું થયું. તેઓએ કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ જો પ્રથમ વડાપ્રધાન હોત તો દેશ ક્યારનો મહાસત્તા બની ગયો હોત. કોંગ્રેસીઓએ હંમેશા સરદાર પટેલને અન્યાય કર્યો તેઓએ પોતાના પરિવારની દુકાન ચલાવવા આ મહાપુરુષના જ્યાં સંસ્કાર થયા ત્યાં ન સ્મારક બનાવ્યું ના મ્યુઝીયમ બનાવ્યું હતું. કોંગ્રેસ સત્તામાં રહી ત્યાં સુધી ભારત રત્ન ન આપ્યો. આ એવોર્ડ મળતા મળતા 40 વર્ષ વીતી ગયા હતા.
અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સરદાર પટેલની પ્રતિભાને શોભે તે પ્રકારે વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવવાનું કામ થયું છે. ભાજપે જનસંઘની સ્થાપનાથી લઈ આજ દિન સુધી તમામ ચૂંટણીના સંકલ્પ પત્રોમાં સરદાર વલ્લભભાઈ પટેલના અધૂરા સ્વપ્નોને સામેલ કર્યા હોવાનું જણાવી કહ્યું કે સરદાર ઇચ્છતા હતા કે કાશ્મીર સાથે ભારતનું જોડાણ પાકું હોવું જોઈએ કલમ 370 અને 35a એ એ કાશ્મીરનું ભારત સાથેનું કાચા સુતરનું જોડાણ હતું. અને એ સરદાર પટેલની દુરંદેશી જ હતી જેને આ કલમને અસ્થાઈ બનાવી અને આ કલમને ઉખાડી ફેંકવાનું કામ પાંચ ઓગસ્ટ 2019 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હવે તેના પર નામદાર સુપ્રીમ કોર્ટેની પણ મહોર લાગી છે.
શાહે ઉમેર્યું હતું કે કોંગ્રેસના શાસનમાં કાશ્મીરમાં આતંકવાદ ફૂલ્યો ફાલ્યો અને વકર્યો હતો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાશ્મીરમાં શાંતિ અને સલામતી સ્થાપિત થયા છે. આ સાથે વિસ્થાપિત થયેલા કાશ્મીરી પંડિતોને પણ બંધારણ સુધારી ત્રણ સીટો આપવાનું કામ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 વર્ષમાં ભારતને વિશ્વમાં એક મજબૂત અને વિકસતો દેશ બનાવવાનું કામ કર્યું આજે ભારત ચંદ્ર પર શિવ શક્તિ પોઇન્ટ ઉપર તિરંગો લઈને પહોંચ્યું છે. બીજી બાજુ જી ટ્વેન્ટી સમિટમાં દુનિયાના રાષ્ટ્ર પ્રમુખો મહાત્મા ગાંધીજીને નત શકે શ્રદ્ધાંજલિ આપવા એકસાથે ઉભા રહે તે જોઈને સમગ્ર વિશ્વમાં રહેલા ભારતીય ની છાતી ગજગજ ફુલાય છે. તેઓએ કહ્યું કે આજે ભારતનું અર્થતંત્ર દસ વર્ષમાં 11 માં ક્રમેથી પાંચમા ક્રમે પહોંચ્યું છે અને ત્રીજી ટર્મમાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ પાંચમાંથી ત્રીજા ક્રમે પહોંચવાનું નક્કી છે.
શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા 60 કરોડ ગરીબોને ઘર, વીજળી, અનાજ, ગેસ અને મફત દવા પહોંચાડવામાં આવ્યા. આ ઉપરાંત આ 10 વર્ષના કાલ ખંડમાં ગરીબી રેખામાં ઉમેરો ન થયો પણ 13 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢવાનું ભગીરથ કામ થયું. તેઓએ કહ્યું કે આજે દર મહિને 3 નવી વંદે ભારત ટ્રેન શરૂ થઈ રહી છે રેલવે સ્ટેશન એરપોર્ટ અનેક વિકાસના પ્રકલ્પો આકાર લઇ રહ્યા છે સાથે સાથે 550 વર્ષથી ભગવાન રામ ટેન્ટમાં બિરાજ્યા હતા. લોકોની આશા અને અપેક્ષાઓ હતી કે રામ મંદિરનું નિર્માણ થાય અને પ્રભુ રામ તેના ઘરમાં બિરાજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબધ્ધતાના પરિણામે આગામી 22 મી જાન્યુઆરીએ ભગવાન રામ પોતાના નિજ ઘરમાં બિરાજશે.
આ ઉપરાંત કાશી વિશ્વનાથ કોરિડોર, સોમનાથ મંદિર, પાવાગઢ મહાકાળી મંદિર, ઉત્તરાખંડમાં બદરી કેદાર સહિતના દેશના નાગરિકોના શ્રદ્ધા કેન્દ્રોને પુનરોદ્ધાર કરવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. શાહે આપણા ગૌરવ સન્માનના રક્ષણ માટે બલિદાન આપનાર લોકો માટે ભગવાન રામ પાસે અયોધ્યા જઈને પ્રાર્થના કરવા અપીલ કરી હતી. તેઓએ કહ્યું કે આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યા છે ત્યારે જ્યારે સો વર્ષ પૂર્ણ થશે એટલે કે 25 વર્ષની આ યાત્રા દરમ્યાન વિકસિત ભારત તમામ ક્ષેત્રે વિશ્વમાં પ્રથમ નંબરે હોય તેવી સંકલ્પના પ્રધાનમંત્રી મોદીએ કરી છે.
શાહે અંતમાં સરદાર પટેલની દિવ્ય પ્રતિમાના અનાવરણ માટે મળેલ તક બદલ એસપીજી કલોલને સાધુવાદ પાઠવ્યા અને કહ્યું હતું કે સરદાર સાહેબની આ પ્રતિમા યુવાઓને જીવનભર સંદેશો આપતી રહેશે. તેઓએ કહ્યું કે ભારતભરમાં દરેક જગ્યાએ મોદી મોદી ના નારા લાગી રહ્યા છે 2024 માં આદરણીય મોદીજીને ફરીથી વડાપ્રધાન બનાવવાનું મન દેશની જનતાએ બનાવી લીધું છે. આગામી ચૂંટણીમાં વધુ સીટો અને પ્રચંડ બહુમતીથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપાની સરકાર બનશે તેવો વિશ્વાસ શાહે વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આર પી પટેલ, એસપીજી કલોલના હોદ્દેદારો, શહેર તેમજ તાલુકા ભાજપા સંગઠનના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
