Gandhinagar: મોરબીના ભાજપ ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદર બેઠક પરથી હાલમાં જ ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી રાજીનામું આપવાને લઈને હાકલા-પડકારા ચાલી રહ્યા છે, ત્યારે આજે કાંતિ અમૃતિયા ગાંધીનગર વિધાનસભામાં રાજીનામું આપવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગોપાલ ઈટાલિયાની રાહ જોઈ હતી. આ મામલે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે ભાજપને આડેહાથ લેતા કાંતિ અમૃતિયાની ચેલેન્જને નાટક ગણાવ્યું છે.
પ્રવિણ રામે જણાવ્યું કે, મોરબીના ધારાસભ્ય ગાંધીનગર જવા રવાના થયા છે અને ક્યાંય જાત્રાએ જતા હોય, તે પ્રમાણે 40-50 લોકો તેમને મૂકવા માટે આવે છે, અને જે રીતે એ લોકો ખુશ હતા અને હસી રહ્યા હતા. આ જોઈને લાગતું હતું કે, તેઓ મનમાં અને મનમાં વિચારતા હશે કે મોરબીના ધારાસભ્ય જો રાજીનામું આપી દે તો તેમનો છૂટકારો થઈ જાય.
કાંતિકાકા હવે ગાંધીનગર જઈ વીડિયો બનાવશે અને કહેશે કે, હું આવી ગયો ગોપાલભાઈ ના આવ્યા. તો હું એમને કહેવા માંગીશ કે, ગોપાલભાઈએ કહ્યું હતું કે 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં કાંતિકાકા રાજીનામું આપશે ત્યારબાદ તેઓ તેમની ચેલેન્જ સ્વીકારવા માટે કંઈ વિચારશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈએ ક્યાંય પણ રાજીનામાંનો ઉલ્લેખ કર્યો ન હતો, કારણ કે હજુ સુધી ગોપાલભાઈની શપથવિધિ પણ થઈ નથી.
કાંતિકાકાને હું કહેવા માંગીશ કે તમે મોરબીથી આટલા દૂર ગાંધીનગર ગયા છો તો હવે એમ ને એમ પાછા ન આવતા, પરંતુ તમે એવું કહ્યું છે તો હવે રાજીનામું આપીને જ આપજો. હું ભાજપને કહેવા માંગી છે કે તમને લોકોને કામ કરવામાં અને જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં જરા પણ રસ નથી પરંતુ આવી રાજનીતિમાં લોકોનું ધ્યાન અટકાવવામાં જ તમને રસ છે. હજુ પણ અમે તમને ચેલેન્જ આપીએ છીએ કે જો તમારે રાજીનામા આપવા હોય તો તમારી આખી સરકાર રાજીનામું આપી દે પછી અમે તમારી સામે લડવા માટે તૈયાર છીએ. હું મોરબીના ધારાસભ્ય કાંતિકાકાને પણ કહેવા માંગીશ કે તમે પણ કહીને આવો કે આખી સરકાર રાજીનામું આપી દે પછી લોકો નક્કી કરશે કે કોનું શું કરવું અને કોને વોટ આપવો.
