Ahmedabad: ગુજરાત વકફ બોર્ડ સંચાલિત કાંચના મસ્જિદ ટ્રસ્ટમાં ગેરકાયદેસર વહીવટી કરીને કોરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર કુખ્યાત સલીમખાન પઠાણ વિરુદ્ધ હવે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સલીમખાન પઠાણના 9 માળના ગેરકાયદેસર બિલ્ડિંગને તોડી પાડવામાં આવ્યું છે.
હકીકતમાં સલીમખાન પઠાણ જમાલપુરમાં સૌદાગર બિલ્ડર્સના નામે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. જેણે વકફ જમીનો પચાવી પાડીને ગેરકાયદેસર બિલ્ડિંગ બાંધી દીધી હતી. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા જમાલપુર સ્થિત કાંચના મસ્જિદ નજીક આવેલી ઉર્દુ સ્કૂલની જગ્યામાં સલીમ પઠાણે ગેરકાયદેસર રીતે 'સના 7' ના નામે કોમ્પ્લેક્ષ બનાવી દીધુ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.
આખરે AMC દ્વારા આ સલીમખાન પઠાણને નોટીસ ફટકારીને સીલ મારી દેવામાં આવ્યું હતુ. આમ છતાં સલીમખાન પઠાણે ગેરકાયદે બાંધકામ કરીને ફ્લેટ ભાડે આપી દેવામાં આવ્યા હતા.
આટલું જ નહીં, આ બિલ્ડિંગ્સમાં કોઈ મંજૂરી વિના દસ્તાવેજો કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે સ્થાનિક રહીશો તેમજ વકફ બોર્ડ દ્વારા અનેક વખત તંત્ર સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. આખરે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
