Gandhinagar News: કલોલ નગરપાલિકાના ભાજપના 9 કોર્પોરેટરે રાજીનામા આપતાં ખળભળાટ મચી ગઇ હતી. કલોલ નગરપાલિકામાં ભાજપના 33 સભ્ય છે જેમાં 9 સભ્યોએ આજે રાજીનામું આપ્યું હતું. કલોલ નગરપાલિકામાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે પ્રકાશ વર્ઘડેની નિમણૂક થતાં 9 કોર્પોરેટરે નારાજગી દર્શાવી હતી. ચેરમેનની વરણી અયોગ્ય ઠરાવીને 9 કોર્પોરેટરે રાજીનામા આપ્યા હતા. અગાઉ પણ કલોલ નગરપાલિકાના પ્રમુખની વરણી વખતે પણ આ જ કોર્પોરેટરે વિરોધ કરીને રાજીનામા આપ્યા હતા. જો કે, ભાજપ સંગઠન દ્વારા તમામને મનાવી લેવામાં આવ્યા હતા.
કલોલ નગરપાલિકામાં કુલ 11 વોર્ડ છે જેમાં 44 સભ્યની ચૂંટણી થાય છે. આ 44 બેઠકમાં 33 બેઠક પર ભાજપનો વિજય થયો હતો. પરંતુ વિજય બાદ પ્રમુખ અને હવે ચેરમેનની વરણીને લઇને ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો છે. જો કે, રાજીનામા સ્વીકારવા કે નહીં સ્વીકારવા તે બોર્ડ બેઠકમાં નિર્ણય થશે. અગાઉ પણ આ નવ કોર્પોરેટર નારાજ થતાં સંગઠને મનાવી લીધા હતા અને આજે પણ સંગઠન દ્વારા નવ કોર્પોરેટરને મનાવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.
આ અંગે વિપક્ષ નેતા શાર્દુલા ખાન પઠાણે જણાવ્યું હતું કે, કલોલ નગરપાલિકા કારોબારી ચેરમેન વિવાદ છે. આજે ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો. ભાજપના 9 કોર્પોરેટરો રાજીનામા આપ્યા છે. ભાજપના કોર્પોરેટરને લોકોની નથી પડી ફક્ત સત્તાની લાલચ છે. આ હોશિયાર અને કેપબલ પાર્ટીની સત્તા માટેની ઘેલછા સામે આવી છે. કોંગ્રેસ સભ્યોએ અગાઉના બોર્ડમાં વેરા વધારાનો વિરોધ કર્યો હતો એની નોંધ પણ પાડી નથી. અમે બોર્ડનો વિરોધ કરી બહિષ્કાર કર્યો છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
