Gandhinagar News: ગાંધીનગર મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભક્તિભાવપૂર્વક બાપાના ચરણે ધરાવેલા પ્રસાદ, ફૂલો અને અન્ય પૂજા સામગ્રીના યોગ્ય નિકાલ માટે એક નવીન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ, નકામી બની જતી આ સામગ્રીનો ઉપયોગ કરી વર્મી કમ્પોસ્ટ બનાવવામાં આવશે, જે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા જાળવવામાં મદદરૂપ થશે.
ગાંધીનગર જિલ્લામાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ જ સ્થાપિત થાય, તથા પર્યાવરણને નુકસાન પહોંચાડતી પીઓપીની મૂર્તિઓ સાથે, દસ દિવસની પૂજા સામગ્રી જળાશયમાં પધરાવતા તે ન ઓગળવાને લીધે રઝળતીથી થવાથી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચવા સાથે પ્રકૃતિને થતું નુકસાન અટકાવવા એની કાર્યો હાથ ધરાયા છે.
જે અંતર્ગત મહાનગર પાલિકા ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી ભક્તિ ભાવ પૂર્ણ બાપાના ચરણે ધરાવેલ પ્રસાદ, ફૂલો અને પૂજાની અન્ય સામગ્રીનો યોગ્ય નિકાલ કરતા બાપાના આશીર્વાદ ફરી પાછા આપણા સુધી પહોંચી શકશે.
દસ દિવસ સુધી ચાલનારા ગણેશોત્સવ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે, તંત્રના માણસો જ ગાંધીનગર ના પંડાલોમાં ફરી બાપાની ફૂલ માળા અને પ્રસાદ વગેરે જેવી વસ્તુઓ જે બીજા દિવસે નકામી બની જાય છે, તે એકત્રિત કરે છે.
આ ઉપરાંત જ્યાં વિસર્જન કુંડો બનાવવામાં આવ્યા છે, ત્યાંથી પણ તંત્ર દ્વારા આ પ્રકારની વસ્તુઓ એકત્રિત કરી તેને સેક્ટર 30 ખાતે આવેલ વર્મી કમ્પોસ્ટ બનાવતા સ્થળે લાવવામાં આવે છે. આ બધી જ વસ્તુઓને ગાયના છાણીયા ખાતર સાથે એકત્ર કરી એક વિશિષ્ટ વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેનો ઉપયોગ ગાંધીનગર જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા કરશે, અને આ પવિત્ર પૂજા સામગ્રીની સકારાત્મક ઉર્જા પણ તેમાં ભળશે.
પરિણામે બાપાને અર્પણ કરેલ વસ્તુઓ વેસ્ટ ન થતા બાપાના આશીર્વાદરૂપે ફરી આપણને જ અનાજ, શાકભાજી અને ફળો રુપે મળી રહેશે.