Gandhinagar: રૂપાલમાં મા વરદાયિનીજીની ભવ્યાતિ ભવ્ય પલ્લી નીકળી, હજારો કિલો ચોખ્ખા ઘીનો અભિષેક કરાતા નદીઓ વહી

મહત્ત્વનું છે કે, શ્રદ્ધાળુઓ બાળકો માટે માતાજીની માનતા રાખે છે અને માતાજી એમના આશીર્વાદથી માનતા પૂર્ણ કરે છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sat, 12 Oct 2024 01:29 PM (IST)Updated: Sat, 12 Oct 2024 01:29 PM (IST)
gandhinagar-in-rupal-maa-vardayinijis-majesty-took-place-in-grand-palli-thousands-of-kilos-of-pure-ghee-anointed-rivers-flowed

Gandhinagar News: ગઈકાલે નવમા નોરતે ગાંધીનગરના રૂપાલ ગામે વિશ્વ વિખ્યાત મા વરદાયિનીજીની પલ્લી નીકળી હતી. અહીં હજારો ભક્તો દ્વારા માતાજીનો ઘીથી અભિષેક કરાયો હતો. જેને લીધે ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહી હતી. મહત્ત્વનું છે કે, શ્રદ્ધાળુઓ બાળકો માટે માતાજીની માનતા રાખે છે અને માતાજી એમના આશીર્વાદથી માનતા પૂર્ણ કરે છે. જે બાદ શ્રદ્ધાળુઓ અહીં નવરાત્રીના નવમા નોરતે માતાજીની પલ્લી પર ઘીનો અભિષેક કરીને માનતા પૂર્ણ કરે છે.

રૂપાલ ગામમાં અસો સુદ નોમના પવિત્ર દિવસે માતાજીની પલ્લી નીકળી હતી. જેમાં ભક્તો દ્વારા માતાજીને ચોખ્ખા ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. ભક્તોની વિશાળ ભીડ વચ્ચે વરદાયિની માતાના જયઘોષથી આકાશ ગૂંજી ઊઠ્યું હતું. પલ્લી નીકળતા રૂપાલની શેરીઓમાં ઘીના પ્રવાહો વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રૂપાલ ગામમાં 27 ચકલાઓ પર પલ્લી ઊભી કરીને તે પર ઘીનો અભિષેક કરવામાં આવે છે, અને જ્યાંથી પલ્લી પસાર થાય છે ત્યાં ઘીના પ્રવાહો રચાતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.

પલ્લીની પ્રથા અનુસાર, જે લોકોની મનોકામનાઓ પૂર્ણ થઈ હોય, તેઓ પલ્લીમાં ઘી અર્પણ કરે છે. ઉપરાંત, નવાનવા જન્મેલા બાળકોને પણ પલ્લીનાં દર્શન માટે લાવવામાં આવે છે. આ બાળકોની માતાઓ પલ્લીની સ્તુતિ અને વંદના કરે છે. ગામની મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબા રમે છે, જ્યારે ગામના યુવાનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જાય છે. આ વિધિની શરૂઆત જ્વાળા અને ખીજડાના પૂજનથી થાય છે. પલ્લી જ્યારે મંદિરમાંથી નીકળી ચોકમાં પહોંચે છે, ત્યારે એ પર ઘી રેડવાનું શરૂ થાય છે. આ સ્થળે બાળકોને પલ્લી સામે માથું ટેકવામાં આવે છે.