Thakor Samaj Mahasammelan: ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ગાંધીનગરમાં રામકથા મેદાનમાં ‘અભ્યુદય મહાસંમેલન’નું (Abhyudaya Mahasanmelan) આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત રહેલા રાજકીય પક્ષના ઠાકોર સમાજના નેતાઓ, સામાજિક અગ્રણીઓ અને આગેવાનોએ મંચ પરથી ઠાકોર સમાજને સંબોધન કર્યું હતું.
ગેનીબેને સમાજના યુવાનોને કર્યું આહવાન
‘અભ્યુદય મહાસંમેલન’ ના પરથી ઠાકોર સમાજને શિક્ષણ અંગે સંબોધતા સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે,"આપણું મગજ નાના-નાના કામમાંથી કાઢવું પડશે. આજે પણ કોઈ નોકરી માટે આવે તો માંગણી કરે છે કે મારા દીકરાને સિક્યુરિટી કે પટ્ટાવાળામાં રાખજો. હવે આ સિક્યુરિટી કે પટ્ટાવાળામાંથી બહાર નીકળીને ઠાકોર સમાજનો દીકરો IAS-IPS બને, મોટી કંપનીમાં એન્જિનિયર બને તેવા સપના જોવા પડશે."
આ પણ વાંચો
વિકાસને રૂંધતા પરિબળો સામે લડવાનો સંકલ્પ
સાંસદ ગેનીબેન ઠાકોરે વધુમાં કહ્યું કે,"કયા પરિબળો આપણા વિકાસને રૂંધે છે, તે સમાજે વિચારવું પડશે. આ પરિબળો વ્યસન, નિરીક્ષરતા, અંધશ્રદ્ધા, કુપોષણ, બેરોજગારી છે. આવા અનેક પરિબળો સામે વૈચારિક ક્રાંતિ કરીને લડવા માટેનો આજે સંકલ્પ કરવાનો છે."
વિક્રમ ઠાકોરની રજૂઆતનો આપ્યો જવાબ
આ તકે ગેનીબેન ઠાકોરને જાહેરમાં વિનંતી કરતા વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે, "સમાજ માટે બંધારણ બન્યા બાદ મને ખાસ કરીને DJ વાળાઓના ફોન આવ્યા છે. આ બધા કલાકારો અને DJ સંચાલકોનું ઘર પણ તેમના કામ પર જ ચાલતું હોય છે, ત્યારે હું તમને રજૂઆત કરું છું કે તેના વિશે પણ તમે બધા કંઈક વિચારજો."
વિક્રમ ઠાકોરની રજૂઆતના જવાબમાં ગેનીબેન ઠાકોર કહ્યું કે,"વિક્રમભાઈ DJ વાળાઓની માંગણી મૂકી છે. પરંતુ આ બંધારણ મેં નથી બનાવ્યું, સમગ્ર ઠાકોર સમાજે બનાવ્યું છે. વધુમાં, જાહેરાત કરી હતી કે એક વર્ષ બાદ 4 જાન્યુઆરી, 2027 ના રોજ આ બંધારણ પર ચર્ચામાં કરવામાં આવશે. એક વર્ષ બાદ તમે માંગણી લઈને આવજો, તેને ચર્ચામાં મૂકીશું. પરંતુ આ બંધારણ પસાર થઈ ગયું છે, માટે હાલ આ મુદ્દાને વિચારણામાં લઈ શકાય તેમ નથી."
