Bhupendra Patel 5 Years: 13 સપ્ટેમ્બર, 2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ પાંચ વર્ષોમાં જન આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત, સુલભ અને ટેક્નોલૉજી આધારિત સેવાઓના વિસ્તરણ માટે અનેક મહત્વપૂર્ણ પહેલો કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે અનેક પરિવર્તનકારી પહેલો હાથ ધરી હતી.
આ પહેલોને આગળ વધારતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આરોગ્યસેવાઓની પહોંચ વધારવાની સાથે રોગનિવારણ, સમયસર નિદાન અને અસરકારક સારવાર પર પણ ભાર મૂક્યો છે.
PMJAY-MA હેઠળ આરોગ્ય સુરક્ષાનું કવચ વધુ મજબૂત, વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ પૂરું પાડનારું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ (PMJAY-MA) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી આરોગ્ય સહાય રૂપિયા 5 લાખથી વધારીને રૂપિયા 10 લાખ કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારસુધીમાં 2.92 કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ પૂરું પાડનારું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે. અત્યારસુધીમાં 1.15 કરોડ ડિજિટલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે.
નમો યોજના હેઠળ અત્યારસુધીમાં 8 લાખથી વધુ મહિલાઓને કુલ ₹540 કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે. માતૃત્વ અને બાળ આરોગ્ય ક્ષેત્રે ગુજરાતે નોંધપાત્ર કામગીરી કરી છે. રાજ્યમાં 99.97% સંસ્થાકીય ડિલિવરી દર નોંધાયો છે, જેના પગલે ગુજરાતે રાષ્ટ્રીય બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે.
વર્લ્ડ ઓબેસિટી ડે”ના દિવસે ગુજરાતમાં સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 31,021 નિક્ષયમિત્રનું નિક્ષય પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે 5,76,344 પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.
મિશન ઇન્દ્રધનુષના અત્યારસુધીના તમામ તબક્કાઓ હેઠળ રાજ્યમાં 9,95,395 બાળકો અને 2,25,960 સગર્ભા મહિલાઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ AIIMSનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેના પગલે રાજ્યમાં ઉચ્ચસ્તરીય આરોગ્યસેવાઓની સુવિધામાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે.
ગુજરાતના નાગરિકોને આરોગ્યલક્ષી સેવા-સુવિધાઓનું એક જ છત્ર હેઠળ મોનિટરિંગ અને સમીક્ષા મળી રહે તે માટે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઇમરજન્સી આરોગ્યસેવાને વધુ સક્ષમ બનાવવા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ હેઠળ 617 નવી તેમજ હોસ્પિટલો ખાતેની એમ્બ્યુલન્સને સંકલિત કરવામાં આવી છે, જેના પગલે રાજ્યમાં 108 એમ્બ્યુલન્સની કુલ સંખ્યા 1,455 થઈ છે.
