Devbhoomi Dwarka: ગુજરાત સહિત સમગ્ર દેશમાં વૃદ્ધોની સાથે-સાથે હવે જવાનો અને બાળકોમાં પણ હાર્ટ એટેકનો ખતરો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. હાર્ટ એટેકના કારણે બાળકોના મોતના આંકડા વાલીઓની ચિંતા વધારી રહ્યાં છે. ભારતમાં જે પ્રકારે નાના બાળકો પર હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે, તે ખૂબ જ ગંભીર સમસ્યા છે. થોડા દિવસ અગાઉ ગુજરાતની એક સ્કૂલમાં રિશેષ દરમિયાન પગથિયા ચડતા વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતુ. એવામાં આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભાણવડથી 3 કિલોમીટર દૂર બરડા ડુંગરની તળેટીમાં આવેલ વિજયપુર ગામમાં રહેતો 11 વર્ષનો દુષ્યંત ઘનશ્યામભાઈ પિપરોતર આજે વહેલી સવારે ઊંઘમાંથી ઉઠીને બાથરૂમ જવા ગયો હતો. જ્યાંથી પરત ફરતી વખતે તે ત્યાં જ ફસડાઈને ઢળી પડ્યો હતો.
આ બાબતની જાણ થતાં પરિવારજનો દુષ્યંતને ગંભીર હાલતમાં સારવાર અર્થે દવાખાને લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક દુષ્યંત વિજયપુર ગામની સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો. હાલ તો બાળકના મોતના કારણે પરિવારમાં શોક વ્યાપી જવા પામ્યો છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
