Chhota Udepur News: સંખેડાના પીપળસટ ગામે દીપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકોને રાહત થઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં વન વિસ્તાર મોટો હોવાથી વન્ય જીવો પણ બહોળી સંખ્યામાં જેવા મળે છે જેમાં સૌથી વધારે દીપડાની સંખ્યા જોવા મળે છે. આ દીપડા ખોરાકની શોધમાં અવારનવાર માનવ વસ્તીમાં ધસી આવે છે અને પશુઓનું મારણ કરી જાય છે જેને લઈને લોકોમાં ભય પણ જોવા મળે છે.
સંખેડાના હાંડોદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી એક દીપડો આંટાફેરા કરતો હતો. અને પીપળસટ ગામમાં પશુનું મારણ કરીને જતો રહેતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. જેને લઈને વન વિભાગ દ્વારા પીપળસટ ગામની સીમમાં દીપડાને પાંજરે પુરવા એક પીંજરું મૂકવામાં આવ્યું હતું. જેમાં બકરાને મૂકવામાં આવ્યું હતું. ત્યારે બકરાને ખોરાક બનાવવા જતાં દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકોને રાહત થઈ હતી.
મહત્વની વાત એ છે કે, છોટા ઉદેપુર જીલ્લાના વન વિસ્તારમાં દીપડાની સંખ્યા નોંધપાત્ર છે, જે ખોરાકની શોધમાં અવારનવાર માનવ વસ્તીમાં ઘૂસી જાય છે. અને દર વર્ષે લોકોને હેરાન કરવાના બનાવોમાં પણ વધારો થયો છે. ત્યારે વન વિભાગ આ મુદ્દે ધ્યાન આપીને વન્ય જીવોથી માનવ જીવોને નુકસાન ન થાય તે માટે વન વિભાગ દ્વારા આયોજન કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. તાજેતરમાં સંખેડા તાલુકામાંથી બે દિપડાના મૃતદેહ પણ મળી આવ્યા હતા.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
