Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ગોરામાં પતિ-પત્ની વચ્ચે થયેલો ઝગડો ઉગ્ર બની જતા પત્નીએ પતિને ઢોર માર માર્યો હતો. ગંભીર ઇજાઓ પહોંચતા પતિને સારવાર અર્થે વડોદરાના સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન પતિનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સંખેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સંખેડાના ગોરામાં તડવી ફળિયું આવેલું છે જ્યાં 30 વર્ષીય અમિત તડવી પત્ની ગાયત્રીબેન સાથે રહેતા હતા. ગત 4 માર્ચના રોજ ગાયત્રીબેન અને અમિત તડવી વચ્ચે કોઇ પારિવારિક મુદ્દે બોલાચાલી થઇ હતી. જોત જોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કરી લીધુ હતુ અને વાત મારામારી સુધી પહોંચી ગઇ હતી. જેમાં ઉશ્કેરાયેલા ગાયત્રીબેને પતિ અમિતને ઢોર માર માર્યો હતો.
આ પણ વાંચો
પત્નીએ ઢોર માર મારતા અમિત તડવીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અમિતને તાત્કાલિક સારવાર અર્થે બોડેલીની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમિત તડવીને વડોદરાના સયાજી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંક સારવાર બાદ અમિત તડવીનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સંખેડા પોલીસને જાણ કરવામાં આવતા સંખેડા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
