Shree Hanumant Charitra Katha - New Jersey Day 1: લોકો જીવનમાં ક્યારે મૂર્ખામી કરે છે, હરિપ્રકાશ સ્વામીએ ઝવેરી અને કુંભારની વાત કહીને સમજાવ્યું

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sat, 27 Jul 2024 05:10 PM (IST)Updated: Sat, 27 Jul 2024 05:14 PM (IST)
shree-hanuman-charitra-katha-day-1-by-p-hariprakash-swami-at-new-jersey-america

Shree Hanumant Charitra Katha - New Jersey Day 1: સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી દેશ-વિદેશમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીનો મહિમા વિશ્વના ખૂણે-ખૂણે પ્રસરાવી રહ્યા છે. ત્યારે અમેરિકાના ન્યૂ જર્સીમાં આજથી ત્રણ દિવસ શ્રીહનુમાન ચરિત્ર કથાનું યોજાઈ રહી છે. જેમાં કથાના પહેલાં દિવસે વક્તા હરિપ્રકાશ સ્વામીએ દાદાના ભક્તોને કથાનું રસપાન કરાવતા એક દૃષ્ટાંત સાથે સમજાવ્યું કે, લોકો જીવનમાં ક્યારે મૂર્ખામી કરે છે.

એક દૃષ્ટાંત મને યાદ આવે છે કે, એક કુંભારને ગધેડું હતું અને કુંભારને ગધેડું ખૂબ વ્હાલું હોય. એણે ગધેડાની ડોકે એક સરસ મજાનો પથ્થર બાંધ્યો હતો, પણ કુંભારને એનું મૂલ્ય નહોતું કારણ કે, એને એની ઓળખ નહોતી અને ખબર નહોતી. એક વખત ત્યાંથી કોઈ ઝવેરી નીકળ્યો. ગધેડાની ડોકમાં જોઈને મનમાં કહ્યું કે, આ તો કરોડો રૂપિયાનો હીરો છે આને ગધેડાની ડોકે બાંધ્યો છે. ઝવેરીએ કુંભારને કીધું કે, એ ભાઈ અહીં આવ. કુંભારે કીધું કે, શું છે? ઝવેરીએ કહ્યું કે, આ પથ્થર વેચવો છે. કુંભારે કીધું કે, આપી દવ. ઝવેરીએ કહ્યું, રૂપિયા બોલ. કુંભારે કહ્યું 10 ડોલર. આ સાંભળી ઝવેરીએ કહ્યું, 10… 5માં દેવો છે? કુંભારે કીધું કે, ના ભાઈ પાંચમાં નહીં દશ આપવા હોય તો. ઝવેરીએ કીધું કે, અરે ભાઈ પાંચમાં આપી દેને હવે. આમ બે કલાક સુધી રકઝક ચાલી અને કુંભારે કીધું કે, ના 10માં જ આપીશ. આ પછી ઝવેરી ત્યાંથી જતો રહ્યો.

ઝવેરી ઘરે ગયા પછી તેને વિચાર આવ્યો કે, ભૂલ કરી. કુંભારને 10 ડૉલર આપી દીધા હોત તો. સાત ડૉલરમાં તો આપી જ દેશે. એવું વિચારીને ઝવેરી બીજા દિવસે પાછો કુંભાર પાસે આવ્યો ત્યારે કુંભાર બહાર બેઠો-બેઠો દાંતણ કરતો હતો. આ પછી તેને ગધેડા તરફ જોયું ત્યારે તેની ડોકમાં પથ્થર નહોતો. આ જોઈને ઝવેરીને પરસેવો વળી ગયો અને કુંભારને પૂછ્યું કે, ગધેડાની ડોકમાંથી પથ્થર ક્યાં ગયો? કુંભારે કહ્યું, ઈ તો વેચી દીધો. આ સાંભળી ઝવેરીએ કીધું કે, કેટલાકમાં વેચી દીધો? કુંભારે કીધું કે, 15 ડૉલરમાં વેચ્યો. ઝવેરીએ કીધું રે, તું મૂર્ખ છે કરોડોનો પથ્થર તે 15 ડૉલરમાં વેચી દીધો તારા જેવો ગાંડો કોઈ નહીં.

આ સાંભળી કુંભારે બહુ જ મસ્ત કીધું કે, હું મૂર્ખ કે તું! મને તો ખબર નહોતી અને મારે 10 જોઈતા હતા અને 15 મળ્યા એટલે પથ્થર વેંચી દીધો. પાગલ તને તો ખબર હતી અને તું પાંચ રૂપિયામાં અટકી ગયો. હું નહીં મૂર્ખ તું છું. આજે મારે તમને ઈ કહેવું છે કે, જેને ખબર નથી કે, મનુષ્ય જન્મ શું છે તે કંઈ પણ કરે છે પણ જેને ખબર છે તેને ખબર છે કે, આનું મૂલ્ય શું છે ત્યારે એ કંઈપણ કરે છેને ત્યારે એવું લાગે છે કે, આવી મૂર્ખામી લોકો કરે છે.