Salangpur Hanumanji: સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત વડતાલ ગાદીનાં 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દીપાવલી પર્વના દિવસે તારીખ 31-10-2024નાં ગુરુવારનાં રોજ દાદાને દિવ્ય શણગાર કરાયો છે. હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડમાંથી જરદોશી વર્કવાળા વાઘા પહેરાવામાં આવ્યા હતા, આ સાથે દાદાનું સિંહાસન 200 કિલો ગુલાબ, સેવંતીના 200 કિલો ફુલથી શણગાર્યું હતું. સવારે 05:30 કલાકે મંગળા આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા તથા સવારે 07:00 શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
આ સાથે જ સવારે મંગળા અને શણગાર આરતી બાદ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, કોઠારી વિવેકસાગર સ્વામી અને પૂજારી ધર્મકિશોર સ્વામી(ડિ.કે.સ્વામી) તથા વરિષ્ઠ સંતો દ્વારા સદગુરુ ગોપાળાનંદ સ્વામીની પ્રસાદીની લાકડીનું વિશેષ પૂજન કરાયું હતું.
મહત્વનું છે કે, આજ હજારોની સંખ્યામાં ભક્તો દાદાના દર્શને આવ્યા હતા. જેમાં ભાજપનાં વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ દાદાના દર્શને આવ્યા હતાં. મંદિર પરિસર ચિક્કાર ભીડથી ભરાયું હતું. એટલું જ નહીં મંદિર પરિસરમાં ભક્તોએ શ્રીકષ્ટભંજદેવ હનુમાનજીની જયનાં ગગનભેદી નારા લગાવ્યા હતાં.
તો મંદિર પરિસરમાં વિશેષ સમૂહ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં યજમાનોએ ભાગ લીધો હતો. મહત્વનું છે કે, આ સમુહ મારુતિ યજ્ઞમાં હરિપ્રકાશ સ્વામી સહિત સાળંગપુર પધારેલાં સંતોએ પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત આજે દાદાના દર્શને હજારોની સંખ્યામાં હરિભક્તો સાળંગપુર આવી પહોંચ્યા હતાં.
