Bhavnagar News: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષા, સુવિધા અને સમયપાલન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી ભાવનગર મંડળમાં આશરે રૂ. 350 કરોડના ખર્ચે 40 નવા રોડ અંડર બ્રિજ (RUB) બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પશ્ચિમ રેલવેના લેવલ ક્રોસિંગ દૂર કરીને રેલ સુરક્ષા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો લાવવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે.
પશ્ચિમ રેલવે તેના મુસાફરોને સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. આ દિશામાં, પશ્ચિમ રેલવેના તમામ છ મંડળોમાં મોટાભાગના લેવલ ક્રોસિંગ – ઇન્ટરલોક્ડ અને નોન-ઇન્ટરલોક્ડ બંને – ને દૂર કરીને મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. રેલવે ફાટક બંધ કરવાથી માર્ગ અને રેલ સુરક્ષામાં વધારો, ટ્રાફિક ભીડમાં ઘટાડો, અકસ્માતોમાં ઘટાડો, ટ્રેનની ગતિમાં વૃદ્ધિ, સમયપાલનમાં સુધારો અને સમગ્ર રેલ કામગીરીમાં સરળતા તથા કાર્યક્ષમતામાં વધારો જેવા અનેક ફાયદા થાય છે.
મુસાફરોની સુવિધાઓ વધારવા અને રેલ સુરક્ષાને વધુ મજબૂત કરવા પશ્ચિમ રેલવે સતત કાર્યરત છે. ‘અમૃત સ્ટેશન સ્કીમ’ હેઠળ સ્ટેશનોના પુનર્વિકાસનું કાર્ય ચાલી રહ્યું છે, તેની સાથે સાથે મંડળ સ્તરે રેલવે ફાટકોને દૂર કરીને રોડ અંડર બ્રિજ (RUB), લિમિટેડ હાઇટ સબ-વે (LHS) અને રોડ ઓવર બ્રિજ (ROB) બનાવવાનું કાર્ય પણ ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યું છે.
રેલવે બોર્ડ દ્વારા ભાવનગર મંડળ પર વિવિધ બાંધકામ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં અંદાજે રૂ. 350 કરોડનો ખર્ચ થશે. આ કાર્યોમાં લિમિટેડ હાઇટ સબવે/રોડ અંડર બ્રિજ અને અન્ય માળખાકીય વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. હાલમાં ભાવનગર મંડળમાં 238 લિમિટેડ હાઇટ સબવે/રોડ અંડર બ્રિજ કાર્યરત છે. આ ઉપરાંત, 40 નવા બ્રિજ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ બાંધકામ શરૂ થશે.
‘ફાટક મુકત ગુજરાત’ અભિયાન હેઠળ, વર્ષ 2025-26 દરમિયાન ભાવનગર મંડળના 11 જિલ્લાઓમાં કુલ 40 નવા લિમિટેડ હાઇટ સબવે/રોડ અંડર બ્રિજ બનાવવામાં આવશે. આ નાણાકીય વર્ષ દરમિયાન અંદાજે રૂ. 350 કરોડના ખર્ચે આ કાર્યો પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સના પૂર્ણ થવાથી મુસાફરોની યાત્રા વધુ સુરક્ષિત, સરળ અને સુવિધાજનક બનશે, તેમજ રેલવે કામગીરીમાં પણ સરળતા સુનિશ્ચિત થશે.