Bhavnagar News: ભાવનગરના તળાજાના પિંગળીમાં એક ખેત મજૂરે આવેશમાં આવી પથ્થરના ઘા મારી પત્ની હત્યા કરી નાંખી હોવાનો બનાવ બન્યો છે. હત્યા કર્યા બાદ પતિ ફરાર થઇ ગયો હતો. બપોરે બનેલી ઘટનાની જાણ સાંજે પોલીસને થતાં પોલીસ પહોંચી હતી અને આરોપી પતિને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, ભાવનગરના પિંગળી ગામના મનુભાઈ બાલાભાઈ રાઠોડની નાની માંડવાળીના રસ્તા પર વાડી આવેલી છે. આ વાડીમાં ખેત મજૂર ભાગીયા તરીકે ઉંચા કોટડા ગામનો શિવા છનાભાઈ વાસીયા પત્ની અને સંતાનો સાથે છેલ્લા બે મહિનાથી અહીં આવ્યો હતો. ગઇકાલે બપોરે કોઇ કારણોસર શિવા વાસીયા અને તેની પત્ની અસ્મિતા વચ્ચે તકરાર થઇ હતી.
તકરારમાં શિવા ઉશ્કેરાયો હતો અને પોતાના સંતાનોની હાજરીમાં જ પત્ની અસ્મિતાને માથાના ભાગે મોટા પથ્થરના ઘા માર્યા હતા. જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા અસ્મિતાનું મોત નીપજ્યું હતું. પત્નીનું મોત નીપજ્યાં બાદ શિવા ત્યાંથી ફરાર થઇ ગયો હતો. હત્યાનો બનાવ બન્યો હોવાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને ફરાર પતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
પો.સ.ઇ મકવાણાએ જણાવ્યું હતુ કે પિંગળી ગામે હત્યા થઈ હોવાની વિગતો મળતા સ્થળપર પહોંચી તપાસ હાથ ધરીશું. પતિ ઝડપાયા બાદ હત્યા પોતે એકલાએજ કરી છેકે તે સમયે કોઈ હાજર હતુંકે કેમ?હત્યા કરવાનું કારણ સહિતનો ભેદ ઉકેલવામાં આવશે.વાડી માલિક એ જણાવ્યું હતુ કે હત્યા કર્યા બાદ પતિ શિવાભાઈ ફરાર થઇ જતા બંને માસૂમ બાળકોને પિંગળી પોતાના ઘરે લાવેલ છે.જેમાં એકની ઉંમર પાંચ અને બીજા ની ઉંમર ત્રણેક વર્ષ છે. આ બનાવથી ઉંચા કોટડા ગામની સીમમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અંગે વધુ તપાસ પીએસઆઈ મકવાણાએ હાથ ધરી છે.
