Bhavnagar E-Bus Service: ભાવનગર શહેરના નાગરિકો માટે જાહેર પરિવહનને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયની પ્રતિક્ષા અને 6 માસના વિલંબ બાદ ભાવનગરમાં હવે કુલ 22 રુટ પર 100 ઇ-બસ દોડાવવાની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. ગઈ ફેબ્રુઆરીના રોજ શરુ થયેલી આ સેવા હવે વધુ વિસ્તારવામાં આવી રહી છે.
ફેબ્રુઆરીમાં 50 નવી ઈ બસોની શરુઆત થયેલી
ભાવનગર શહેરમાં લાંબા સમયથી બંધ પડેલી સિટી બસ સેવાને ગત 14 ફેબ્રુઆરીના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને પુન: શરુ કરવામાં આવી હતી. શરુઆતમાં ભાવનગર મનપાને 50 ઇ-બસો ફાળવવામાં આવી હતી. જે શહેર અને જિલ્લાના 8 મુખ્ય રુટ પર દોડાવવામાં આવી રહી હતી. ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારી અભિષેક પટેલના જણાવ્યા મુજબ, તબક્કાવાર નવી બસો ઉમેરાતા હવે 100 ઈ-બસો થઈ ગઈ છે. જેથી હવે તમામ 22 રુટને આવરી લેવામાં આવશે.
સ્ટોપેજ વધુ અને રુટ લાંબા હોવાથી મુસાફરોમાં અસંતોષ
- લાંબા રુટ અને વધુ સ્ટોપેજ: બસના રુટ ખૂબ જ લાંબા અને વચ્ચે વધારે સ્ટોપેજ આવતા હોવાથી મુસાફરો સમયસર પહોંચી શકતા નથી.
- ઝડપી આયોજનની કરાઈ માંગ: નાગરિકોની માંગણી છે કે, મનપા બસના સમયગાળા અને રુટનું એવું આયોજન કરે જેથી એક જ સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચી શકાય.
રવિવાર અને રજાના દિવસે ધાર્મિક સ્થળો માટે વિશેષ સેવા
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મુસાફરો અને દર્શનાર્થીઓની સુવિધા માટે રજાના દિવસે ખાસ ધાર્મિક બસ સેવાની શરુઆત કરવામાં આવી છે. આ ધાર્મિક સ્થળોએ વીકએન્ડમાં જતાં શ્રદ્ધાળુઓ માટે આ ઈ-બસ સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
- નિષ્કલંક મહાદેવ (કોળિયાક): દર રવિવારે અને જાહેર રજાઓમાં
- ઝાંઝરીયા હનુમાનજી મંદિર: દર શનિવારે ખાસ બસ સેવા.
- ખોડિયાર માતા મંદિર: રજાના દિવસે ખાસ રુટ.
