નર્મદા.
ડેડીયાપાડા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે. હકીકતમાં બે વર્ષ જૂના મારામારીના કેસમાં કોર્ટે ચૈતર વસાવાને દોષી ઠેરવીને તેમને 6 મહિનાની સજા ફટકારવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
ડિસેમ્બર-2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે બોગજ કોલીવાડા ગામે હરીફ સરપંચ પદના ટેકેદારો તાપણું કરી રહ્યાં હતા. આ સમયે ચૈતર વસાવા સહિત 10 લોકોનું ટોળું ધસી આવ્યું હતુ અને હુમલો કર્યો હતો. જેમાં આ કેસના ફરિયાદી સતિષ વસાવા પર ચૈતર વસાવાએ સળગતા લાકડા વડે હુમલો કર્યો હતો. આ મામલે ચૈતર વસાવા સહિત 10 લોકોના ટોળા સામે ડેડિયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ મામલે નર્મદા સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેના અંતે જજ નેહલકુમાર જોશીએ ચૈતર વસાવા સહિત તમામ 10 આરોપીઓને કસૂરવાર ઠેરવીને તેમને 6 મહિનાની કેદની સજા તેમજ 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો કે આ તમામ આરોપીઓને CrpCની કલમ 360 મુજબ તેમની સારી વર્તણૂંક માટે 20 હજારના શરતી જામીને મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
