Jignesh Dada Health Update: આણંદમાં કથાકાર જીગ્નેશ દાદાની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથામાં નંદ ઉત્સવનું વાંચન ચાલી રહ્યું હતું ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી. વ્યાસપીઠથી સીધા તેમને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડીહાઈડ્રેશનના કારણે તેમની તબિયત લથડી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. સારવાર બાદ તેમનું સ્વાસ્થ્ય સારુ જણાતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર, આણંદમાં થોડા દિવસોથી કથાકાર જીગ્નેશ દાદાની કથાનું આયોજન કરાયું છે. કથામાં નંદ ઉત્સવનું વાંચન ચાલી રહ્યું હતું ત્યારે તેમને તબિયત નાદુરસ્ત જણાઇ હતી. નબળાઈ અને છાતીમાં દુખાવો પણ જણાતો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે આણંદમાં આવેલી ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબો દ્વારા પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી. જેમાં તેમને ડીહાઈડ્રેશનની અસરની સાથે સતત વ્યસ્ત શિડ્યૂલના કારણે સ્વાસ્થ્ય લથડ્યું હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો
જીગ્નેશ દાદાના તમામ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. સારવાર કરવામાં આવ્યા બાદ તેમનું સ્વાસ્થ્ય સારુ જણાતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જે નંદ ઉત્સવ થવાનો હતો તે આવતીકાલે મુલત્વી રાખવામાં આવ્યો છે. હોસ્પિટલમાંથી સારવાર લીધા બાદ જીગ્નેશ દાદાએ જણાવ્યું હતું કે, બધા ચિંતા કરશો નહીં, સ્વાસ્થ્ય સારુ છે અને કાલે કથામાં મળીશું.
ઝાયડસ હોસ્પિટલના ડો. મિહિર આચાર્યએ જણાવ્યું હતું કે, કથાકાર જીગ્નેશભાઈ દાદાને ઇમરજન્સીમાં અહીં લાવવામાં આવ્યા હતા. તેઓ અસ્વસ્થ અનુભવી રહ્યાં હતા. તેમને છાતીમાં દુખાવો હતો અને નબળાઈ પણ લાગી રહી હતી. તેમના બ્લડ સેમ્પલનો રિપોર્ટ, ઇસીજી કરવામાં આવ્યું હતું. સ્પેશિયાલિસ્ટ કાર્ડિયોલોજીસ્ટની સલાહ પણ લેવાઇ હતી. કદાચ ડીહાઇડ્રેશન, ખાવા-પીવામાં અનિયમિતતા, વ્યસ્ત કાર્યશૈલી અને વધુ પડતો શ્રમ તથા ગરમીની ઋતુનો પ્રભાવ હોઇ શકે. હાલ તેમનું સ્વાસ્થ્ય સારુ જણાઇ આવ્યું છે.
