Asarwa Udaipur Vande Bharat: ગુજરાતના રેલ મુસાફરો અને પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે. ભારતીય રેલવે દ્વારા ગુજરાતમાં આધુનિક કનેક્ટિવિટીનો વિસ્તાર કરતા 16 ફેબ્રુઆરી 2026ના રોજ અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ ટ્રેન શરૂ થવાથી હવે અમદાવાદથી ઉદયપુરનું અંતર માત્ર 4 કલાક 15 મિનિટમાં કાપી શકાશે.
ભવ્ય શુભારંભ અને મહાનુભાવોની ઉપસ્થિતિ
હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન બારૈયા, મયંક નાયક, રમિલાબેન બારા અને પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ દ્વારા ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. સામા પક્ષે અસારવા સ્ટેશન પર મેયર પ્રતિભાબેન જૈન અને સાંસદ નરહરિ અમીન દ્વારા ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમયપત્રક અને સંચાલન વિગતો
- ટ્રેન નંબર 26964/26963 અસારવા–ઉદયપુર સિટી–અસારવા વંદે ભારત એક્સપ્રેસ
- ટ્રેન સંખ્યા 26964 અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ 18 ફેબ્રુઆરી 2026થી દરરોજ (મંગળવાર સિવાય) અસારવાથી સાંજે 17:45 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 22:00 વાગ્યે ઉદયપુર પહોંચશે.
- ટ્રેન સંખ્યા 26963 ઉદયપુર સિટી–અસારવા વંદે ભારત એક્સપ્રેસ 18 ફેબ્રુઆરી 2026થી દરરોજ (મંગળવાર સિવાય) ઉદયપુર સિટીથી સવારે 06:10 વાગ્યે પ્રસ્થાન કરી સવારે 10:25 વાગ્યે અસારવા પહોંચશે.
- માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન હિંમતનગર, ડુંગરપુર તથા જાવર સ્ટેશનો પર રોકાશે.
- આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર સહિત કુલ 8 કોચ રહેશે.
ટિકિટના દર (અંદાજિત)
IRCTC પોર્ટલ મુજબ આ ટ્રેનમાં બે શ્રેણીના ભાડા રાખવામાં આવ્યા છે:
- AC ચેર કાર (CC): ₹900 થી ₹1,065ની આસપાસ
- એક્ઝિક્યુટિવ ચેર કાર (EC): ₹1,680 થી ₹1,875ની આસપાસ
ટ્રેનની વિશેષતાઓ
આ અત્યાધુનિક ટ્રેનમાં 8 કોચ છે અને તે મુસાફરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પૂરી પાડે છે. ટ્રેનની સ્પીડ મહત્તમ 160 કિમી/કલાકની ક્ષમતા ધરાવતી આ ટ્રેન સડક માર્ગ કરતા વધુ ઝડપી અને સુરક્ષિત છે. આ ટ્રેનમાં રીક્લાઈનિંગ સીટો, ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા, જીપીએસ આધારિત પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, બાયો-ટોયલેટ અને સીસીટીવી કેમેરા જેવી સુવિધા હશે.
પર્યટનને વેગ: સામાજિક પ્રસંગો અને લગ્ન માટે ઉદયપુર જતા ગુજરાતીઓ માટે આ ટ્રેન આશીર્વાદ સમાન સાબિત થશે.
ગુજરાતમાં રેલવેનો વિકાસ
સાંસદ દિનેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે- ગુજરાતમાં હાલ ₹1,28,748 કરોડના રેલવે પ્રોજેક્ટ્સ કાર્યરત છે. રાજ્યના 87 રેલવે સ્ટેશનોને વિશ્વસ્તરીય બનાવવા માટે પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે, જેમાંથી 19 સ્ટેશનોનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે.
આ પ્રસંગે સાંસદ નરહરી અમીને જણાવ્યું કે- ગુજરાતમાંથી ઘણા લોકો લગ્ન માટે સામૂહિક રીતે ઉદયપુર જાય છે અને તેમના માટે આ ટ્રેન વરદાન સ્વરૂપ છે જે 4 થી 4.15 કલાકમાં અસારવાથી ઉદયપુર પહોંચાડે છે. આ ટ્રેન અત્યાધુનિક અને સડક માર્ગની તુલનામાં વધુ સુરક્ષિત તથા આરામદાયક છે.
મુસાફરો ટિકિટ બુકિંગ અને વધુ વિગતો માટે www.irctc.co.in અથવા www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે.
