ગુજરાત માટે ગૌરવઃ છેલ્લા 3 વર્ષમાં SPIPAના 87 સિતારાઓ UPSCમાં ઝળક્યા; આ વર્ષે નિસાર દિશાંત સમગ્ર ભારતમાં 19માં ક્રમે

પ્રિલિમથી લઈને પર્સનાલિટી ટેસ્ટ સુધી SPIPAની માર્ગદર્શિકા અને તાલીમથી ગુજરાતના યુવાનોને પ્રતિષ્ઠિત સેવાઓમાં સ્થાન

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 06 Mar 2026 11:34 PM (IST)Updated: Fri, 06 Mar 2026 11:34 PM (IST)
spipa-creates-record-in-upsc-2025-34-candidates-selected-87-successes-in-last-3-years
HIGHLIGHTS
  • ઇન્ટરવ્યુ માટે નવી દિલ્હી જનાર ઉમેદવારો માટે ગુજરાત ભવન ખાતે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે

UPSC Result 2025: Union Public Service Commission (UPSC) દ્વારા લેવામાં આવેલી સિવિલ સર્વિસ પરીક્ષા–2025ના અંતિમ પરિણામમાં સરદાર પટેલ લોક પ્રસાશન સંસ્થા, અમદાવાદ ખાતે તાલીમ લીધેલા કુલ 34 ઉમેદવારો અખિલ ભારતીય સેવા માટે પસંદગી પામ્યા છે, જે સંસ્થાની નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે.

UPSC દ્વારા તા. 23 મે 2025ના રોજ યોજાયેલી સિવિલ સર્વિસ પ્રિલિમ પરીક્ષાનું પરિણામ તા. 11 જૂન 2025ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી કુલ 14,161 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા. તેમાં SPIPA ખાતે તાલીમ લીધેલા 272 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

જે બાદ મુખ્ય પરીક્ષાનું પરિણામ તા. 11 નવેમ્બર 2025ના રોજ જાહેર થયું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી 2376 ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ માટે પસંદ થયા હતા. તેમાં સ્પીપાના 82 ઉમેદવારોનો સમાવેશ થયો હતો.

ડિસેમ્બર 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાયેલા પર્સનાલિટી ટેસ્ટના આધારે UPSC દ્વારા તા. 05 માર્ચ 2026ના રોજ જાહેર કરાયેલા અંતિમ પરિણામમાં સમગ્ર ભારતમાંથી 958 ઉમેદવારો અખિલ ભારતીય સેવા માટે પસંદ થયા છે. આ આખરી ચયનમાં સ્પીપા ખાતે તાલીમ લીધેલા 34 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

પર્સનાલિટી ટેસ્ટ માટે સ્પીપા દ્વારા ઉમેદવારોને નવેમ્બર 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં 15 ‘મોક ઈન્ટરવ્યુ’ અને 4 વિશેષ વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઇન્ટરવ્યુ માટે નવી દિલ્હી જનાર ઉમેદવારો માટે ગુજરાત ભવન ખાતે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

સ્પીપા દ્વારા UPSC સિવિલ સર્વિસ પરીક્ષા માટે ઉમેદવારોને વિના મૂલ્યે તાલીમ, અભ્યાસ સામગ્રી, પુસ્તકાલય, વાંચનખંડ તથા ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સંસ્થા દ્વારા ઉમેદવારોને માર્ગદર્શન અને શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં આવતાં રાજ્યના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવામાં મદદ મળી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રકારની પ્રોત્સાહન સહાય પણ આપવામાં આવે છે. જેમાં પ્રિલિમ પરીક્ષાની તાલીમ માટે માસિક સહાય ઉપરાંત પ્રિલિમ તથા મુખ્ય પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને પણ નિર્ધારિત આર્થિક સહાય આપવામાં આવે છે.

સ્પીપા દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાય મુજબ

  • પ્રિલિમ પરીક્ષાની તાલીમમાં પ્રવેશ મેળવનાર ઉમેદવારોને વધુમાં વધુ સાત મહિના માટે દર મહિને રૂ.2,000/- પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે.
  • UPSC સિવિલ સર્વિસની પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂ.25,000/- અને યુવતીઓને રૂ.30,000/- પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે.
  • UPSC સિવિલ સર્વિસની મુખ્ય પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂ.25,000/- અને યુવતીઓને રૂ.30,000/- પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.
  • સિવિલ સર્વિસ પરીક્ષામાં અંતિમ પસંદગી મેળવનાર ગુજરાતના ડોમિસાઇલ ઉમેદવાર યુવકોને રૂ.51,000/- અને યુવતીઓને રૂ.61,000/- તેમજ નોન-ડોમિસાઇલ ઉમેદવાર યુવકોને રૂ.21,000/- અને યુવતીઓને રૂ.31,000/- પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.

છેલ્લા ત્રણ વર્ષના પરિણામો અનુસાર સ્પીપાની સફળતા નોંધપાત્ર રહી છે. વર્ષ 2023માં 26, વર્ષ 2024માં 27 અને વર્ષ 2025માં 34 ઉમેદવારો UPSC સિવિલ સર્વિસમાં અંતિમ રીતે પસંદ થયા છે.

સ્પીપાના મહાનિદેશક હારિત શુક્લા દ્વારા આપવામાં આવતા ગુણવત્તાસભર માર્ગદર્શન તથા દોરીસંચારના પરિણામે ગુજરાતના યુવાનોને દેશની સર્વોચ્ચ સિવિલ સેવાઓમાં સ્થાન મેળવવામાં મહત્વપૂર્ણ સહાય મળી રહી છે.