ચોમાસા પૂર્વે 2થી 5 જૂન સુધી સાબરમતીમાં મહાસફાઈ અભિયાન, નદીના પટ અને રિવરફ્રન્ટ વિસ્તારોમાં વિશેષ સફાઈ હાથ ધરાશે

શહેરની વિવિધ સામાજિક, પર્યાવરણલક્ષી અને સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs) તેમજ જાગૃત નાગરિકોને આ અભિયાનમાં સક્રિય રીતે જોડાવા અમદાવાદના મેયરએ અપીલ કરી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 31 May 2026 07:06 PM (IST)Updated: Sun, 31 May 2026 07:06 PM (IST)
special-sabarmati-river-cleaning-drive-from-june-2-to-5-ahead-of-monsoon-in-ahmedabad

Ahmedabad News: અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન સાબરમતી નદી અને રિવરફ્રન્ટ વિસ્તારને સ્વચ્છ, સુરક્ષિત અને પર્યાવરણલક્ષી રાખવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા ચોમાસા પૂર્વે સાબરમતી નદીના પટમાં વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

દર વર્ષે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ચોમાસા પૂર્વે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવે છે. આ પ્રક્રિયા પહેલાં નદીના પટમાં રહેલા કચરા, પ્લાસ્ટિક, જંગલી વનસ્પતિ તથા અન્ય અવરોધોને દૂર કરવા અને નદીના બંને કાંઠાની સ્વચ્છતા જાળવવા માટે તા. 2 જૂનથી 5 જૂન એટલે કે, વિશ્વ પર્યાવરણ દિવસ સુધી વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.

આ અભિયાન અંતર્ગત 2 જૂન દરમિયાન પશ્ચિમ બાજુએ ગાંધી આશ્રમની પાછળના ઘાટ અને આશ્રમ રોડ નીચે ઉતરતા વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરાશે. જ્યારે પૂર્વ બાજુએ સેમ્પલ સ્ટેજ ઘાટ અને આજુબાજુનો વિસ્તાર, જે સુભાષબ્રિજ ગાર્ડનથી 8 નંબરની સીડીઓ તરફ નીચે ઉતરતા વિસ્તારમાં સફાઈ કરવામાં આવશે.

3 જૂનના રોજ પશ્ચિમ બાજુએ ઘાટ નંબર 4 પાસે, સીડીઓ નંબર 23થી નીચે ઉતરતા તથા વાડજ ટોઈલેટની પાછળના વિસ્તારમાં સફાઈ કામગીરી થશે. પૂર્વ બાજુએ ઘાટ નંબર 5 વિસ્તાર તથા દધીચી બ્રિજ પાસે સુભાષબ્રિજ ગાર્ડન ગેટ નંબર 3 પાસેની સીડી તેમજ પોલીસ સ્ટેશન પાસેથી લોઅર પ્રોમિનાડમાં ઉતરતા વિસ્તારમાં સફાઈ હાથ ધરાશે.

4 જૂનના રોજ પશ્ચિમ બાજુએ ઘાટ નંબર 5ના આસપાસના વિસ્તારમાં તેમજ ઉસ્માનપુરા ગાર્ડનમાંથી એન્ટ્રી લઈ સીડી નંબર 26થી લોઅર પ્રોમિનાડમાં ઉતરતા વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવશે. પૂર્વ બાજુએ ઘાટ નંબર 7ની આસપાસના વિસ્તારમાં તથા માસ્તર કોલોનીની સામેથી રેમ્પ નંબર 16થી લોઅર પ્રોમિનાડમાં ઉતરતા વિસ્તારમાં સફાઈ હાથ ધરાશે.

આ ઉપરાંત 5 જૂનના રોજ પશ્ચિમ બાજુએ ઘાટ નંબર 6ના આસપાસના વિસ્તારમાં તેમજ વલ્લભસદન ગ્રાઉન્ડમાં બાટા એપ્રોચથી સીધા ગ્રાઉન્ડમાં થઈને 31 નંબરની સીડીથી લોઅર પ્રોમિનાડમાં ઉતરતા વિસ્તારમાં સફાઈ કરવામાં આવશે. પૂર્વ બાજુએ અટલ ઘાટ (ઘાટ નંબર 11)ની આજુબાજુનો વિસ્તાર, નેહરુબ્રિજ અને એલિસબ્રિજની વચ્ચે, અટલ ઘાટથી લોઅર પ્રોમિનાડમાં ઉતરતા વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરાશે.

આ વિશેષ સફાઈ અભિયાનને વધુ વ્યાપક અને જનભાગીદારી આધારિત બનાવવા અમદાવાદના મેયર હિતેશ બારોટે શહેરની વિવિધ સામાજિક, પર્યાવરણલક્ષી અને સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs) તેમજ જાગૃત નાગરિકોને આ અભિયાનમાં સક્રિય રીતે જોડાવા અપીલ કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની સ્વચ્છતા, નદીના સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીને પ્રાથમિકતા આપી વિવિધ વિભાગોના સંકલનથી આ અભિયાન સફળ બનાવવા જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.