Ahmedabad News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ગુજરાતમાં તેમનો ત્રણ દિવસનો પ્રવાસ છે. 22 ફેબ્રુઆરીના રોજ તેઓ વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સહિતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ તેઓ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ફરી ગુજરાત આવશે અને દ્વારકા સિગ્નેચર બ્રિજ સહિતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.
પીએ મોદીનો 22 તારીખનો કાર્યક્રમ
22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં અમૂલ ફેડરેશનના સહકાર સંમેલનને સંબોધન કરશે. વાળીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. તરભમાં વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. કાકરાપારમાં એટોમિક પાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ અને નવસારીમાં પીએમ મિત્રા પાર્કનો શિલાન્યાસ કરશે. આ ઉપરાંત સુરત મ્યુસિપલ કોર્પોરેશનની વિવિધ યોજનાઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે. 23 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી વારાણસી જવાના છે. ત્યારબાદ તેઓ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ફરી ગુજરાત આવશે.
24 અને 25 ફેબ્રુઆરીનો કાર્યક્રમ
વડાપ્રધાન મોદી વારાણસીના પ્રવાસ બાદ 24 અને 25 ફેબ્રુઆરીએ ફરી ગુજરાત આવશે. આ બન્ને દિવસ દરમિયાન તેઓ દ્વારકાના સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે અને વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે. દ્વારકામાં તેઓ રાત્રી રોકાણ કરશે અને દ્વારકાધીશ મંદિરમાં ભગવાનના દર્શન કરશે. ત્યારબાદ તેઓ રાજકોટ આવશે. રાજકોટમાં એઇમ્સનું લોકાર્પણ કરશે અને જાહેરસભા સંબોધશે. રાજકોટમાં રોડ-શો પણ યોજાઇ શકે છે. પોતાના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન પણ કરશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
