International Kite Festival 2026:PM નરેન્દ્ર મોદી 12મી જાન્યુઆરીએ જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની ઉપસ્થિતિમાં કરશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવશે

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહભાગી થશે. આ ઉપરાંત, ગુજરાત સહિત ભારતનાં 14 રાજ્યોમાંથી 936થી વધુ પતંગબાજો ભાગ લેશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 10 Jan 2026 08:03 PM (IST)Updated: Sat, 10 Jan 2026 08:08 PM (IST)
pm-narendra-modi-to-inaugurate-international-kite-festival-on-january-12-in-presence-of-german-chancellor-friedrich-merz

International Kite Festival 2026:ગુજરાત આગામી 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આગામી 12 જાન્યુઆરી 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026’નું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’નું આયોજન પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે.

50 દેશોના 135 પતંગબાજો પતંગ મહોત્સવમાં લેશે હિસ્સો

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહભાગી થશે. આ ઉપરાંત, ગુજરાત સહિત ભારતનાં 14 રાજ્યોમાંથી 936થી વધુ પતંગબાજો ભાગ લેશે. આમ, કુલ મળીને 1071પતંગ રસિયાઓ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગ ઉડાડશે.

વધુમાં, પતંગ મહોત્સવની મુલાકાતે આવતા નાગરિકો માટે 25 હસ્તકલા સ્ટોલ અને 15 ફૂડ સ્ટોલ પણ કાર્યરત રહેશે. જે સ્થાનિક કલા, હસ્તકલા અને સ્થાનિક વ્યંજનોને પ્રોત્સાહન આપશે.

અમદાવાદ ખાતે 12 થી 14 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજોની વિવિધ પ્રકારની રંગબેરંગી મોટી પતંગો આકાશમાં લહેરાશે. જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. આ ઉપરાંત 13 જાન્યુઆરી 2026ના રોજ રાત્રિ પતંગ ઉડાનનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં, પતંગ મહોત્સવ દરમિયાન અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી હેરિટેજ હવેલી અને પૌરાણિક પોળ, રંગબેરંગી હસ્તકલા બજાર, હેરિટેજ વૉક-વે પર રચાયેલું પતંગ મ્યુઝિયમ, આકર્ષક આઈકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન્સની સાથે-સાથે સાંજે 7 વાગ્યાથી આયોજિત વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો નગરજનોને આકર્ષિત કરશે. આ કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા કિંજલબેન દવે પ્રસ્તુતિ કરશે.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અમદાવાદ ઉપરાંત, 10 જાન્યુઆરી 2026ના રોજ રાજકોટ, સુરત અને કચ્છના ધોળાવીરા ખાતે, 11 જાન્યુઆરી 2026ના રોજ વડનગર, શિવરાજપુર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અને 13 જાન્યુઆરી 2026ના રોજ વડોદરા ખાતે યોજાશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025માં 3.83 લાખથી વધુ મુલાકાતીઓ સહભાગી થયા હતા

ઉલ્લેખનીય છે કે, વર્ષ-2025માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે સમગ્ર ગુજરાતમાં 3.83 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા હતા. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દ્વારા ગુજરાત પ્રવાસન નિગમ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પ્રવાસીઓને ગુજરાતની મુલાકાત લેવા માટે આકર્ષિત કરી રહ્યું છે. જેના પરિણામ આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અંદાજિત પાંચ લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવશે તેવો અંદાજ છે.