Paresh Goswami Ni Agahi: આ વર્ષે શિયાળામાં જોઈએ તેવી ઠંડી પડી નથી અને હવે શિયાળો તેના અંતિમ તબક્કામાં છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના પરિણામે લોકોને ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોને લઈને મોટી આગાહી કરી છે.
પરેશ ગોસ્વાીના જણાવ્યા મુજબ, હજુ સુધી ગુજરાતમાંથી શિયાળો પૂર્ણ નથી થયો. જો કે હવે દિવસ દરમિયાન ઠંડી આપણને ક્યારેય નહીં અનુભવાય, પરંતુ રાતના સમયે થોડો ઠંડીનો ચમકારો જોવા મળશે. અત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ પહોંચી ચૂક્યું છે, જે સામાન્ય ગણાય છે. આગામી 25 ફેબ્રુઆરી સુધી પવન પણ તેની નોર્મલ ગતિ પ્રમાણે 9 થી 13 કિમી પ્રતિકલાકની ઝડપે ફૂંકાશે. જો કે પવનની દિશા બદલાતી રહેશે.
જો કે આગામી દિવસોમાં ઝાકળ વર્ષા થાય તેવી શક્યતા છે, જે ચિંતાનો વિષય છે. હકીકતમાં અત્યારે ધાણાજીરુ સહિત અનેક પાકોમાં ઝાકળના કારણે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આગામી બે દિવસ સુધી ઝાકળનો રાઉન્ડ રહી શકે છે.
જેમાં ઝાકળનું સૌથી વધુ પ્રમાણ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં જોવા મળશે. આ સિવાય મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ઝાકળ વર્ષા થશે, જો કે તે સામાન્ય રહેશે.
