Mari Yojana: ગુજરાત સરકાર દ્વારા અનેક એવી યોજનાઓ ચાલી રહી છે જેમા લોક સુખાકારીમાં વધારો થાય. લોકોને આર્થિક સહાય મળી રહે અને તેના કામો સરળતાથી થાય. કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોની આવકને વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચાલી રહી છે. તેમાંની એક યોજના એટલે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતને ગાયના નિભાવ ખર્ચમાં સહાયની યોજના. જે અંતર્ગત સરકાર દ્વારા ગાયના નિભાવ ખર્ચ માટે દર મહિને રૂપિયા 900 એટલે કે વાર્ષિક 10800ની આર્થિક સયાય કરાશે. આજે આ યોજના વિશે વિસ્તારથી જાણીશું.
ગાય આધારિત ખેતી એટલે ગાયના ગોબર અને ગૌમુત્રના ઉપયોગથી ખેતીમાં ખર્ચ ઓછો થાય છે. બહારથી કોઈ વધારાના ખાતર જમીનમાં નાખવાની જરૂર પડતી નથી. સાથે જમીનની ફળદ્રુપતા વધવાથી ઉત્પાનદ ક્ષમતા પણ વધે છે. સાથે પર્યાવરણ અને માનવિય સ્વાસ્થ્યનું રક્ષણ પણ થાય છે. આ હેતુ સાથે સરકારે વર્ષ 2023-24માં આ યોજનાને મંજૂરી આપી હતી.
આ યોજના હેઠળ કેવા ખેડૂતને લાભ મળે?
- અરજદાર ખેડુત અરજીના સમયે આઇડેન્ટીફિકેશન ટેગ સહિતની દેશી ગાય ધરાવતો હોવો જોઇએ અને તેના છાણ મુત્રથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઇશે અથવા જ્યારે પ્રાકૃતિક ખેતી કરતા થશે ત્યાર પછી લાભ મળવાપાત્ર થશે. અરજદાર ખેડૂત અરજીના સમયે આઇડેન્ટીફિકેશન ટેગ વગરની દેશી ગાય ધરાવતો હશે તો તે પણ અરજી કરી શકશે પરંતુ ડ્રોમાં પસંદગી થયેથી આઇડેન્ટીફિકેશન ટેગ ફરજિયાત લગાવવાની રહેશે.
- હાલ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો તથા પ્રાકૃતિક કૃષિની તાલીમ બાદ તૈયાર થયેલ માસ્ટર ટ્રેનર, જો પાત્રતાની શરતો પુર્ણ કરે તો મંજૂરીમાં તેઓને પ્રાથમિકતા આપવાની રહેશે.
- આ યોજનાનો લાભ દેશી ગાય ધરાવતા (વિદેશી ગાયો જેવી કે જર્સી અને એચ.એફ. સિવાયની) અને ખેડુતે ધારણ કરેલ જમીન પૈકી ઓછામાં ઓછી એક એકર (40 ગુંઠા) જમીનમાં દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને મળવાપાત્ર થશે. વાછરડા ગાય તરીકે ગણાશે નહી.
- આ યોજના હેઠળ એક ખાતા (નમુના નંબર ૮-અ મુજબ) હેઠળ સંયુક્ત ખાતે લાભાર્થીને એક વાર સહાયનો લાભ મળશે.
- અરજદાર ખેડૂતે પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર્સ પાસેથી અથવા પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ હોવી જોઇશે.
અરજી કેવી રીતે કરવી?
- અરજદાર ખેડુતે પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માને આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી ગ્રામ કક્ષાએ ઇ-ગ્રામ મારફતે અથવા જ્યાં પણ કોમ્પ્યુટર-ઇન્ટરનેટની સુવિધા હોય ત્યાંથી કરી શકાશે. આ ઉપરાંત અરજદાર ભૌતિક અરજી સંબંધિત કચેરીમાં રજુ કરે તો કચેરીએ સમયમર્યાદામાં પોર્ટલ ખુલ્લુ હોય ત્યાં સુધી પોર્ટલ પર અરજી ચડાવવાની રહેશે.
- ઓનલાઇન અરજી કર્યા બાદ અરજદારે અરજીની પ્રિન્ટઆઉટ મેળવી તેની ઉપર સહી / અંગુઠો કરી જરૂરી સાધનિક કાગળો સાથે જે તે સેજાના ગ્રામસેવક / બીટીએમ / એટીએમ / પ્રોજેક્ટ ડાયરેક્ટર-આત્માની કચેરીને રજુ કરવાની રહેશે.
- અરજદારે અરજીની પ્રિન્ટઆઉટ મેળવી તેની ઉપર સહી/અંગુઠો કરી જરૂરી સાધનિક કાગળો જેવા કે, ૮-અ ની નકલ સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિ પત્રક બેન્ક પાસબુકની નકલ / રદ કરેલ ચેક સામેલ રાખી દિન-૭ માં તાલુકાના બીટીએમ / એટીએમ / ગ્રામસેવકને રજુ કરવાના રહેશે. વધુ વિગતો માટે અહીં ક્લિક કરી શકો છો.
સહાયના પૈસા કેવી રીતે મળશે?
મંજૂર કરેલ લાભાર્થીઓને ગાયના નિભાવ ખર્ચ માટે માસિક રૂ.900/- લેખે છ માસિક એડવાન્સ સહાયની રકમ રૂ.5400/- લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં RTGS/DBT થી જમા કરાવવાની રહેશે. જો લક્ષ્યાંક પરિપુર્ણ થતો ન હોય તો પેન્ડીંગ અરજીઓ કે પોર્ટલ ખોલીને નવીન અરજીઓ મંગાવવામાં આવેલ હશે અને તેનો સમયગાળો છ માસથી ઓછો હશે તો ત્રિમાસિક 2700 લેખે પણ ચૂકવણી થશે. (માહિતી સોર્સ- મારી યોજના વેબસાઈટ)
