PM Modi In Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે, 31 માર્ચ 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના કનેક્ટિવિટી માળખાને મજબૂત કરવા અને પ્રાદેશિક આર્થિક વિકાસને નવી ગતિ આપવાના ઉદ્દેશ્ય સાથે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે.
સૌરાષ્ટ્રમાં કનેક્ટિવિટીનો નવો યુગ: કાનાલુસ-જામનગર ડબલિંગ
રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ (111.20 કિમી)ના મહત્વના ભાગરૂપે 28 કિમી લાંબી કાનાલુસ-જામનગર લાઇન તૈયાર થઈ ગઈ છે, જેને વડાપ્રધાન રાષ્ટ્રને સમર્પિત કરશે.
આ ડબલિંગ સાથે હવે રાજકોટ અને જામનગર વચ્ચે વધુ ટ્રેનો દોડાવી શકાશે, જેનાથી મુસાફરોને રાહ જોવામાંથી મુક્તિ મળશે.
ઔદ્યોગિક હબને ફાયદો
જામનગર જે પેટ્રોલિયમ રિફાઇનિંગ અને બ્રાસ ઉદ્યોગોનું મુખ્ય કેન્દ્ર છે, ત્યાં માલસામાનની હેરફેર ઝડપી બનશે. આનાથી લોજિસ્ટિક્સમાં થતો વિલંબ ઘટશે અને ઔદ્યોગિક ઉત્પાદકતા વધશે.
ધાર્મિક અને આર્થિક જોડાણ
રિફાઇનરી ટાઉન જામનગર, સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા અને વ્યાપારી હબ રાજકોટ વચ્ચે બહેતર કનેક્ટિવિટીથી ખેડૂતો, વેપારીઓ અને પ્રવાસીઓને સીધો ફાયદો થશે.
કચ્છના બંદરો માટે ગેમ-ચેન્જર
ગાંધીધામ-આદિપુર ક્વાડ્રુપ્લિંગ
કચ્છ પ્રદેશના પરિવહન માળખામાં ક્રાંતિ લાવવા માટે ૧૦.૬૯ કિમી લાંબી ગાંધીધામ-આદિપુર સેક્શનનું ક્વાડ્રુપ્લિંગ (ચાર લાઇન) પ્રોજેક્ટ કાર્યરત કરાશે. આ વ્યસ્ત કોરિડોર પર ભારે માલવાહક ટ્રાફિકને કારણે થતી ભીડ હવે હળવી થશે.
પોર્ટ-લેડ ડેવલપમેન્ટ
બંદરો અને ઔદ્યોગિક ઝોનને જોડતા આ ટ્રેકથી માલગાડીઓનો ટર્નઅરાઉન્ડ સમય ઘટશે અને પેસેન્જર સેવાઓ વધુ ભરોસાપાત્ર બનશે, જે અંતરિયાળ બજારોને વિશ્વ સાથે જોડશે.
ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોનો વિકાસ: હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ કન્વર્ઝન
ઉત્તર ગુજરાતના આદિવાસી અને અર્ધ-શહેરી વિસ્તારો માટે 54.83 કિમી લાંબો હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની નવી દિશાઓ ખોલશે. બ્રોડગેજ લાઇન શરૂ થવાથી આ વિસ્તાર દેશના વ્યાપક રેલવે નેટવર્ક સાથે સીધો જોડાઈ જશે.
સ્થાનિક ખેડૂતો અને નાના વેપારીઓ હવે તેમની કૃષિ પેદાશો મોટા બજારોમાં ઓછા ખર્ચે અને ઝડપથી પહોંચાડી શકશે, જેનાથી તેમની આવકમાં વધારો થશે.
નવી ટ્રેન સેવાનું પ્રસ્થાન: ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા
પ્રાદેશિક કનેક્ટિવિટીમાં વધારો કરતા પ્રધાનમંત્રી ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા (અમદાવાદ) ટ્રેન સેવાને લીલી ઝંડી બતાવશે.
આ નવી સેવા સાબરકાંઠાના રહેવાસીઓને અમદાવાદ સાથે સીધું જોડાણ પૂરું પાડશે.જે દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ અને તબીબી સારવાર માટે અમદાવાદ જતા દર્દીઓને આ સુરક્ષિત અને સસ્તો મુસાફરીનો વિકલ્પ પૂરો પાડશે.
