Gujarat ATS News: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની તપાસમાં આતંકી સંગઠન ISKPનું સ્લીપર સેલ અમદાવાદમાં એક્ટિવ હોવાનો સનસનાટીપૂર્ણ ઘટસ્ફોટ થયો છે. અડાલજ ટોલપ્લાઝા પાસેથી ઝડપાયેલા આતંકવાદી ડૉ. અહેમદ અંગેના ખુલાસાએ સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચાવી દીધી છે.
ખતરનાક ઝેર અને નરસંહારનું કાવતરું
ડૉ. અહેમદ સાઈનાઈડથી પણ અનેકગણું પાતક ગણાતું 'રાઈઝિન' ઝેર બનાવવાની તૈયારીમાં હતો, જેનો ઉપયોગ કરીને દેશમાં મોટો નરસંહાર કરવાનો તેનો બદઈરાદો હતો. આ ઘાતક કાવતરાને અંજામ આપવા માટે તેણે દોઢ માસ પહેલા અમદાવાદની મુલાકાત લીધી હતી.
અમદાવાદના ભીડવાળા વિસ્તારો નિશાન પર
પોલીસ તપાસની વિગત મુજબ, ડૉ. અહેમદ એક માસ પહેલા અમદાવાદમાં લાલદરવાજાની હોટલમાં રોકાયો હતો. આ દરમિયાન તેણે શહેરના નરોડા વિસ્તારના ફૂટ માર્કેટ, શાક માર્કેટ અને અન્ય ભીડભાડવાળા બજારોમાં રેકી કરી હતી. રેકી પૂર્ણ કર્યા બાદ તે એક લાખ રૂપિયા ભરેલી બેગ લઈને પરત હૈદરાબાદ ગયો હતો. હાલ ATS દ્વારા આતંકીઓ શહેરના જે વિસ્તારોમાં ફર્યા હતા, તેના CCTV ફૂટેજ તપાસવાની કામગીરી ચાલી રહી છે.
દિલ્હી, લખનઉ અને જમ્મુ-કાશ્મીર કનેક્શન
ડૉ. અહેમદ સહિત ATS દ્વારા પકડાયેલા અન્ય બે આતંકીઓ ઉત્તરપ્રદેશના આઝાદ સુલેમાન અને મો. સુલેહે માત્ર અમદાવાદ જ નહીં, પણ દિલ્હીની આઝાદપુર મંડી અને લખનઉમાં આવેલા RSS કાર્યાલયની પણ રેકી કરી હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત, આઝાદ અને સુલેહ જમ્મુ-કાશ્મીરમાં સાત દિવસ રોકાઈને કેટલાક લોકોને મળ્યા હોવાની વિગતો પણ તપાસ એજન્સીઓને મળી છે.
ફરીદાબાદ RDX કેસમાં પણ તપાસ
ગુજરાત ATS ફરીદાબાદમાં ઝડપાયેલા 2,900 કિલો વિસ્ફોટકો અને હથિયારોના કેસમાં પકડાયેલા આતંકીઓ સાથે ડૉ. અહેમદના કનેક્શનની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓને સ્પષ્ટ સંકેત મળ્યો છે કે દેશમાં મોટી આતંકી ભાંગફોડ કરવાનું એક મોટું રેકેટ સક્રિય છે
