Ahmedabad News: અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થતાં શહેરના ફ્રૂટ બજારમાં પપૈયા અને પપૈયાના પાનની માંગમાં મોટો ઉછાળો નોંધાયો છે. ડેન્ગ્યુના કેસમાં પપૈયું ફાયદાકારક ગણાય છે. પપૈયાના સેવનથી પ્લેટલેટ્સમાં વધારો થયા છે. તેવી પ્રવર્તતી માન્યતાને લીધે બજારમાં પપૈયું રુ.40 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. ફળની સરખામણીએ પાનની માગ વધારે હોવાથી ઓનલાઈન પ્લેટફોર્મ પર પપૈયાનું એક પાન રુ.45થી રુ.50ની ઊંચી કિમતે વેચાઈ રહ્યું છે.
ઘર વપરાશમાં પપૈયાનો ઉપયોગ
સામાન્ય રીતે ઘરગથ્થુ વપરાશ ઉપરાંત કાચા પપૈયાનો ઉપયોગ ફરસાણની ચટણી બનાવવામાં થતો હોવાથી વેપારીઓ દ્વારા તેની ખરીદીમાં વધારો થયો છે. અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટમાં દરરોજ પપૈયાની 5થી 6 ગાડીઓ એટલે કે આશરે 100 ટન આવક થાય છે, છતાં ઊંચી માગને કારણે કિંમતો નિયંત્રણમાં આવતી નથી. એપીએમસીના આંકડા પ્રમાણે, કાચા પપૈયાનો ભાવ રુ.800થી રુ.900 પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચ્યો છે.
ફળોના ભાવમાં 45 ટકા વધારો
નરોડા ફ્રૂટ માર્કેટના પ્રમુખ લઘુભાઈ રોહેરાના જણાવ્યા પ્રમાણે ફળોની કુલ આવકમાં આ વર્ષે 50% સુધીનો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે દરરોજ 50 ગાડીઓની આવક સામે આ વર્ષે માત્ર 25 ગાડીઓ જ આવી રહી છે. આવકમાં થયેલા આ મોટા ઘટાડાને કારણે વિવિધ ફળોના ભાવમાં 25%થી 40% સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
