Ahmedabad Demolition News: અમદાવાદના પૂર્વ ઝોનના ગોમતીપુર વોર્ડમાં આવેલા હાથીખાઈ કાળીદાસ મિલ ચાર રસ્તાથી અંબિકા હોટલ સુધીનો જાહેર માર્ગ રીડેવલોપમેન્ટના ભાગરૂપે પહોળો કરવા કોર્પોરેશન દ્વારા ડીમાર્કેશન કરવામાં આવ્યું છે. અને કાલિદાસથી અંબિકા હોટલ સુધી 150 જેટલી કોમર્શિયલ દુકાનો અને કેટલાક મકાનોને નોટિસ આપવામાં આવી હતી. તેમજ આ જગ્યા ખાલી કરવા માટે 15 દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો. જેમાં આ જગ્યા પર બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
150 દુકાનો અને મકાનો પર બુલડોઝર ફર્યું
ગોમતીપુર વિસ્તારમાં આવેલા કાલિદાસથી અંબિકા હોટલ સુધી 150 જેટલી કોમર્શિયલ દુકાનો અને કેટલાક મકાનોને નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસ 31 જાન્યુઆરી 2025 થી આપવામાં આવી હતી અને આ જગ્યા ખાલી કરવા માટે 15 દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો. જે પૈકી સ્થાનિક કોમર્શિયલ, રેસિડેન્શિયલ અને ચારતોડા કબ્રસ્તાનની જગ્યા મોટા પ્રમાણમાં કપાતમાં આવી છે.
સ્થાનિકોનું નિવેદન
સ્થાનિકે જણાવ્યું કે, હું કરિયાણાની દુકાન ચલાવું છું. અમારા વિસ્તારમાં 1 ફેબ્રુઆરીના દિવસે બધી જ દુકાન ઉપર નોટિસ લગાવવામાં આવી હતી અને પંદર દિવસની અંદર દુકાન કટીંગ કરવાની નોટિસ આપવામાં આવી છે. અંતે હવે ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમારી માંગ છે કે જે લોકોની દુકાનો અને મકાન લીગલ છે એને સરકાર વળતર આપે અથવા બીજી જગ્યાએ દુકાન આપે.
આ મુદ્દે સામાજિક કાર્યકર્તા એ જણાવ્યું કે, અહીંયા 1 તારીખે નોટિસ લગાવવામાં આવી હતી. આ માટે આ લોકો કોર્ટ સુધી પણ ગયા હતા. 2006 થી આ મામલો ચાલી રહ્યો છે અને હવે આ ગરીબ લોકો ક્યાં જશે? હવે રમજાન માસમાં એ લોકો કેવી રીતે રહેશે એ મોટો પ્રશ્ન છે એટલે માંગ છે કે આ લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે અને લીગલ બાંધકામ વાળાને વળતર આપવામાં આવે.
ખાલી કરવા નોટીસ આપવામાં આવી હતી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ્ટેટ અને નગર વિકાસ ખાતુ, પૂર્વ ઝોન ટી.પી નં 16 માં કાલિદાસ મીલ ચાર રસ્તાથી અંબિકા રેસ્ટોરન્ટ ચાર રસ્તા સુધીનો રસ્તો પહોળો કરવા માટે જી.પી.એમ.સી એક્ટની 1949ની કલમ 212(2), 213 ની નોટિસની અમલવારી મુદ્દે એસ્ટેટ વિભાગના અધિકારી ખોડીદાસ ચૌહાણે જણાવ્યું કે, અગાઉ 2007/2008માં નોટિસ આપવામાં આવી હતી. આ રોડ પહોળો કરવાની કામગીરી અંતર્ગત આ બાંધકામ તોડવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જી.પી.એમ.સી એક્ટ 212 સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવીને 2007ની અંદર નોટિસ આપવામાં આવેલ હતી. Re.D.P. રોડ લાઈન માટેની નોટિસ આપવામાં આવી હતી. તેની અમલવારી આજે અમે કરી રહ્યા છીએ. જેમાં આજે 45 રેસીડેન્સિયલ બાંધકામ, 120 કોમર્શિયલ બાંધકામને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
