BAPS Swaminarayan Temple In Jodhpur: આજ રોજ 25 સપ્ટેમ્બર ગુરુવારના દિને છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા BAPS સ્વામિનારાયણ મંદિર જોધપુરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો ચરમસીમા રૂપ લોકાર્પણ સમારોહ રંગે ઉજવાયો હતો.
સાંજે 5:00 વાગ્યે શરૂ થયેલા લોકાર્પણ સમારોહનો મુખ્ય હાર્દ હતો, ‘મંદિરનું સમાજને પ્રદાન’. આ મંદિર નિર્માણના કાર્યને સફળ બનાવવા છેલ્લા સાત વર્ષથી સંતો અને જોધપુરના હજારો હરિભક્તો દિનરાત પરિશ્રમ કરી અનેકવિધ મુશ્કેલીઓ વેઠીને, આર્થિક અને શારીરિક સમસ્યાઓને ગણકાર્યા વગર રાજસ્થાનની શાન સમા સુંદર કલાત્મક અને અદભુત મંદિર કાર્યને પૂર્ણ કર્યું. લોકાર્પણ સમારોહમાં આદર્શજીવન સ્વામીએ આજ જોધપુરના મંદિર નિર્માણની ‘ઇતિહાસ ગાથા’ વક્તવ્ય રૂપે પ્રસ્તુત કરી હતી.
મુનિવત્સલ સ્વામીએ ‘આ મંદિર જ્ઞાનનું કેન્દ્ર છે’ વિષયક જ્ઞાન સભર વક્તવ્યનો લાભ આપ્યો હતો. વિવેકસાગર સ્વામીએ આ મંદિર દ્વારા ભક્તિ ગંગાની ભગીરથી કેવી રીતે વહેશે વિષયક ભક્તિમય વક્તવ્યથી પ્રેરિત કર્યા. જ્યારે બ્રહ્મવિહારી સ્વામીએ આવા મંદિરોના નિર્માણ દ્વારા કેવા સેવાકીય કાર્યો થઈ રહ્યા વિષયક વક્તવ્યથી સેવા કાર્ય માટે પ્રેરિત કર્યા હતા.
આજના લોકાર્પણ સમારોહમાં મુખ્ય અતિથિ રૂપે કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજી તેમજ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે અશ્વિની વૈષ્ણવજીએ BAPS સ્વામિનારાયણ સંસ્થાના સેવાકીય અને લોક કાર્યની પ્રશંસા કરી હતી. ગજેન્દ્રસિંહ શેખાવતજીએ સનાતન સંસ્કૃતિના પોષણમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના યોગદાનને બીરદાવ્યું હતું. આ સાથે સાથે દ્રશ્ય શ્રાવ્યના માધ્યમ દ્વારા ‘મંદિરનું સમાજને પ્રદાન’ વિષયક પ્રસ્તુતિઓ દર્શાવવામાં આવી હતી.
લોકાર્પણ સમારોહના અંતિમ ચરણમાં મહંતસ્વામી મહારાજે આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે, ‘આ મંદિર બધાનું મંદિર છે, જે-જે અહીં દર્શને આવશે તેમને સુખ શાંતિ પ્રાપ્ત થશે. આજે ભગવાન અહીં બેસી ગયા છે.’
મંદિર લોકાર્પણ સમારોહનો લાભ લેવા માટે આજે જોધપુરનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. સમારોહના અંતિમ ચરણમાં ભગવાનને આરતી અર્ધય અર્પણ કરી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું.
