અમદાવાદમાં 7 થી 10 સપ્ટેમ્બર સુધી ઓટો-ટેક્સી ચાલકોની હડતાળ, ઓલા-ઉબેર અને બાઇક ટેક્સી સામે યુનિયનોનો મોરચો

એપ આધારિત કંપનીઓ અને ગેરકાયદે બાઇક ટેક્સીના વિરોધમાં અમદાવાદમાં 7 થી 10 સપ્ટેમ્બર સુધી રિક્ષા અને ટેક્સી ચાલકો 4 દિવસની હડતાળ પર જશે. મુસાફરો માટે પરિવહનની હાલાકી સર્જાઈ શકે છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 04 Sep 2026 02:29 AM (IST)Updated: Fri, 04 Sep 2026 02:29 AM (IST)
auto-taxi-drivers-strike-in-ahmedabad-from-september-7-to-10-unions-unite-against-ola-uber-and-bike-taxis

Ahmedabad Strike: અમદાવાદ શહેરમાં આગામી 7 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન જાહેર પરિવહન સેવાઓ પર મોટી બ્રેક વાગવા જઈ રહી છે. શહેરના તમામ ટેક્સી અને રિક્ષા યુનિયનોએ એકજૂથ થઈને ચાર દિવસીય સંપૂર્ણ હડતાળનું એલાન કર્યું છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ હડતાળના કારણે તહેવારોના દિવસોમાં મુસાફરો, સ્થાનિક રહેવાસીઓ અને નોકરીયાત વર્ગ માટે મુસાફરી કરવી મુશ્કેલ બની શકે છે.

એપ આધારિત કંપનીઓ અને ઓનલાઈન શોષણનો વિરોધ

ટેક્સી અને રિક્ષા ચાલકોના જણાવ્યા મુજબ, ઓલા (Ola), ઉબેર (Uber), રેપિડો (Rapido) અને ભારત ટેક્સી જેવી ઓનલાઈન એપ આધારિત કંપનીઓની નીતિઓ ડ્રાઈવરો માટે ભારે નુકસાનકારક સાબિત થઈ રહી છે. યુનિયનોનો આરોપ છે કે-

આર્થિક શોષણ: કમિશનના ઊંચા દર અને અસ્પષ્ટ નીતિઓને કારણે સામાન્ય ડ્રાઈવરોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે, જેનાથી તેમની દૈનિક રોજીરોટી પર વિપરીત અસર પડી રહી છે.

ગેરકાયદે બાઇક ટેક્સીઓ પર પ્રતિબંધની માંગ: શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતી ટુ-વ્હીલર (બાઇક) ટેક્સી સેવાઓને તાત્કાલિક ધોરણે બંધ કરાવવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે.

તંત્રની ઉપેક્ષા: આ પ્રશ્નો અંગે રાજ્ય સરકાર અને વાહનવ્યવહાર વિભાગ સમક્ષ અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ જ નક્કર ઉકેલ ન આવતાં આખરે હડતાળનું આકરું પગલું ભરવું પડ્યું છે.

અમદાવાદના મુસાફરો પર કેવી પડશે અસર?

7 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ચાર દિવસ માટે ઓટો રિક્ષા અને કેબ સેવાઓ સંપૂર્ણપણે બંધ રહેશે, જેથી શહેરની દૈનિક ટ્રાફિક વ્યવસ્થા પર ભારે દબાણ સર્જાશે:

રેલવે સ્ટેશન અને એરપોર્ટ: બહારગામથી આવતા કે જતા મુસાફરોને કાલુપુર રેલવે સ્ટેશન, સાબરમતી ટર્મિનસ અને એરપોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મેળવવામાં હાલાકી ભોગવવી પડી શકે છે.

દૈનિક મુસાફરો: ઓફિસે જતા કર્મચારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને હોસ્પિટલ જતાં દર્દીઓએ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે AMTS અથવા BRTS બસ સેવાઓ પર નિર્ભર રહેવું પડશે.

જાહેર પરિવહન પર દબાણ: રિક્ષા અને ટેક્સીઓ રોડ પરથી ગાયબ થતાં AMTS અને BRTS બસોમાં ભારે ભીડ જોવા મળી શકે છે.

હવે સૌની નજર રાજ્ય સરકાર અને વાહનવ્યવહાર વિભાગ પર છે કે શું તેઓ યુનિયનો સાથે વાટાઘાટો કરીને 7 સપ્ટેમ્બર પહેલાં આ હડતાળ સમી જાય તેવો કોઈ રસ્તો કાઢે છે કે કેમ.