Ambalal Patel, Gujarat Weather Forecast: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ગુજરાતના ઘણાં ભાગોમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી કાળઝાળ ગરમીમાં ગઈકાલથી બ્રેક લાગી ગઈ છે. ઠંડા પવનો ફૂંકાતા પરસેવે રેબઝેબ કરતી ત્રાહિમામ ગરમીથી લોકોને રાહત મળી છે. આટલું જ નહીં, ગઈકાલે સૌરાષ્ટ્ર સહિત અલગ-અલગ ભાગોમાં વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો હતો. જેમાં ભાવનગર જિલ્લાના કેટલાક ભાગોમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી માવઠું પડ્યું હતુ. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દ્વારા આગામી દિવસોમાં વધુ એક વખત હવામાનમાં પલટાની આગાહી કરવામાં આવી છે.
અગાઉ અંબાલાલ પટેલે 11 અને 12 એપ્રિલના રોજ હવામાનમાં પલટાની આગાહી કરી ચૂક્યા છે. હવે તેમણે પોતાની નવી આગાહીમાં મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી માવઠાની આગાહી કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 14 એપ્રિલથી ફરીથી કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ જશે. જે બાદ 18 થી 24 એપ્રિલ દરમિયાનના 7 દિવસ સુધી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. ખાસ કરીને 22 થી 24 એપ્રિલ દરમિયાન મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં વાદળો આવી શકે છે. આ દરમિયાન પવનની ગતિ વધું રહે, તો ક્યાંક-ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડી શકે છે.
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી મે મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં શક્તિશાળી વાવાઝોડું સક્રિય થઈ શકે છે. ભારતમાં ચોમાસાનો આધાર ગંગા-યમુનાના મેદાનો કેવા તપે, તેના પર આધાર રાખતા હોય છે. એવામાં જો વાવાઝોડાની અસરના કારણે ગંગા-યમુનાના મેદાનો ઠંડા પડે, તો તેની અસર શરૂઆતના ચોમાસા પર પડતી હોય છે.
